142મી રથયાત્રાઃ ભગવાન જગન્નાથ અને ભાઈ-બહેનને મોસાળ ઘેલુ લાગ્યું
અટલ સમાચાર, અમદાવાદ, મહેસાણા
અષાઢી બીજનાં દિવસે જ ગુરુપુષ્યામૃત યોગ, શુભ સંયોગ સર્જાયો
આ વખતની અષાઢી બીજે ગુજરાતની સૌથી મોટી ગણાતી 142મી રથયાત્રાની અમદાવાદમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે શુભ સંયોગ રચાશે. 4 જુલાઈ ગુરૂવારે અષાઢ સુદ બીજની સાથે ગુરૂપુષ્યામૃત યોગ પણ છે. આ યોગ સવારે 6.09 કલાકથી રાતે 2.30 કલાક સુધીનો છે. આ શુભ સંયોગમાં તમે સારા કામ કરી શકો છો. સામાન્ય રીતે અષાઢી બીજ સારા કામ કરવા માટે ઉત્તમ દિવસ ગણાય છે. પરંતુ આ વખતે આ પર્વમાં ગુરૂપુષ્યામૃત યોગ પણ સામેલ થવાથી આ દિવસની મહત્વ વધી જાય છે. અષાઢી બીજનાં દિને ગુરૂપુષ્યામૃત યોગ હોવાને કારણે તમે સોનું, ચાંદી, વાહન, મકાન, જમીન કે કોઇ ઇલેક્ટ્રોનિક વસ્તુની પણ ખરીદી કરી શકો છો.
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ અને ભાઈ-બહેનને મોસાળમાં ઘેલુ લાગે
જલયાત્રાની વિધિ બાદ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મામાના ઘરે સરસપુર ગયા છે. 14 દિવસ સુધી ભગવાન મામાના ઘરે રોકવાના છે. પરંતુ આ દિવસમાં ભગવાનને મામાના ઘરે સરસપુરમાં ભારે લાડ લડાવવામાં આવે છે.
ભગવાન જગન્નાથ હાલમાં સરસપુર સ્થિત મોસાળમાં છે. અહીં ભક્તો અને શ્રધ્ધાળુઓ દ્વારા ભાણેજને રોજ ભજન ધૂન સાથે અવનવા મિષ્ઠાન પીરસી લાડ લડાવાઇ રહ્યા છે. મામાના ઘરે આવેલા ભાણેજ ભગવાનને સરસપુરવાસીઓ અનેક પ્રકારના ભોગ જમાડે છે. સવારે ભગવાનની મંગળા આરતી કરવામાં આવે છે. તેમજ સવારે અને સાંજે મહિલાઓ ભજનના તાલે ઝૂમે છે અને રાત્રે આનંદનો ગરબો રાખવામાં આવે છે.
સરસપુરના વાસીઓનું કહેવું છે કે, જ્યારે ભગવાન મામાના ઘરે સરસપુરથી નિજ મંદિર પરત ફરે છે, ત્યારે તેમને એક પ્રકારનો ખાલીપો લાગે છે. જાણે કંઈ ખોવાઈ ગયું હોય તેવું લાગે છે. ભગવાન હાલ તો મોસાળમાં છે, પરંતુ જ્યારે નગરચર્યાં કરીને રથયાત્રા દ્વારા ફરી સરસપુર આવશે ત્યારે પણ મામાના ઘરે સરસપુરમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.
હજારો કિલો મગનો પ્રસાદ વહેંચાશે
ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે ભક્તોને રથયાત્રા દરમિયાન હજારો કિલો મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે. તે મગની સફાઈની તૈયારી મહિલાઓ દ્વારા શરુ કરી દેવાઈ છે. ભગવાન જગન્નાથના ભક્તિમય ગીતો ગાતી આ મહિલાઓ રથયાત્રાની તૈયારીમાં લાગી છે. રથયાત્રામાં ભક્તજનોને હજારો કિલો મગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે હાલ રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપ મગને સાફ કરવાનું પણ શરુ થઈ ગયું છે. શહેરના ઓઢવ, બાપુનગર, સરસપુર, બહેરામપુરા, રબારીકોલોની જેવી વિવિધ જગ્યાએથી મોટી સંખ્યામાં મહિલાઓ આવે છે અને મગ સાફ કરવાની તૈયારીમાં લાગી જાય છે. એક ભક્તજને કહ્યું કે, એવું કહેવાય છે કે મગ ચલાવે પગ. લાખો શ્રદ્ધાળુઓ પગપાળા રથયાત્રામાં જોડાય છે. મગને સ્વાસ્થ્ય માટે ખુબ જ અસરકારક માનવામાં આવી રહ્યાં છે અને તેથી જ ભક્તોને ફણગાવેલા મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે. એક તરફ ભગવાન જગન્નાથજીના ભજન, ભક્તિગીતો સાથે મગની સફાઈની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જગન્નાથજી મંદિરનું વાતાવરણ જાણે જગન્નાથમય બની ગયું છે.