આક્રોશ@રાધનપુર: ટ્રેન રોકી ખેડુતો ફાટક ખોલવા જતાં પોલીસ આવી, દોડધામ
અટલ સમાચાર, પાટણ
રાધનપુર તાલુકામાં ટ્રેનની અવર-જવરને પગલે ફાટકથી ઉભી થયેલી મુશ્કેલીથી ખેડુતોનો આક્રોશ સામે આવ્યો છે. અગાઉ આવેદનપત્ર આપ્યા બાદ સમાધાન નહિ આવતા આજે અચાનક ખેડુતોએ ભેગા થઇ રેલરોકો આંદોલન ચલાવ્યુ હતુ. જેમાં ટ્રેન આવે તે પહેલા મોટી સંખ્યામાં ખેડુતો પાટા પર સુઇ ગયા હતા. આ દરમ્યાન ઘડીભર અફરાતફરીના માહોલ વચ્ચે ટ્રેન થોભાવી નારાજગી રજૂ કરી હતી. આ પછી ખેતર જતાં નડતરરૂપ ફાટક ખોલવા જતાં પોલીસ આવી ચડી હતી. સમગ્ર ઘટનાક્રમથી ભારે દોડધામ મચી ગઇ હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના મેમદાબાદ-કોલપુર નજીક ફાટકથી ખેડુતોને ખેતરે જતા અંતર વધી ગયુ છે. ખેડુતો માટે રેલ્વે તંત્રએ અન્ય એક રસ્તાની વ્યવસ્થા આપી પરંતુ તેનુ અંતર વધી જતુ હોઇ ખેડુતોને ખુબ જ ફરીને ખેતરે જવાની નોબત આવી છે. આથી નજીકના અંતરવાળું ફાટક કાયમી ધોરણે ખોલાવવા ખેડુતોએ અગાઉ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
જોકે તેનું યોગ્ય નિરાકરણ સામે નહિ આવતા આજે રેલરોકો આંદોલન ચલાવી જલદ કાર્યક્રમ આપવાની તૈયારી કરી હતી.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડુતો મોટી સંખ્યામાં ભેગા થઇ ટ્રેન આવે તે પહેલા પાટા ઉપર સુઇ ગયા હતા. આ દરમ્યાન ટ્રેન આવતાં રોકી લીધા બાદ શાબ્દિક ઘર્ષણ વધી ગયુ હતુ. આ પછી નજીકના અંતરવાળું ફાટક ખોલાવવા ખેડુતો દોડી જાય તે પહેલા સુરક્ષાના ભાગરૂપે પોલીસ પહોંચી હતી.
રાધનપુર પોલીસે સ્થળ પરથી ખેડુતોની અટકાયત કરવાની તૈયારી કરી હતી. ખેડુતો કોઇપણ સંજોગોમાં ફાટક ખોલાવવા મક્કમ હોઇ હાલ પુરતુ સ્થગિત રાખી આગામી કાર્યક્રમની તૈયારીમાં લાગ્યા છે.