દુર્ઘટના@સાણંદઃ Unicharm કંપનીમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબૂ
અટલ સમાચાર, ડેસ્ક
સાણંદ જીઆઇડીસીમાં આવેલી સેનેટરી પ્રોડક્ટ્સના ઉત્પાદન ક્ષેત્રમાં મોટું નામ ધરાવતી Unicharm કંપનીમાં બુધવારે
વહેલી સવારે લાગેલી આગ પર ફાયર બ્રિગેડને હજુ સુધી કાબૂ મેળવવામાં સફળતા મળી નથી. બુધવારે સવારે 9:00ની આસપાસ આગ લાગવાનો બનાવ બન્યો હતો. શરૂઆતના તબક્કે સાણંદ વિરમગામ ધોળકાથી ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. અત્યાર સુધીમાં લગભગ 30 લાખ લીટર કરતાં પણ વધુ પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે.
24 કલાક બાદ પણ આગ એટલી હદે બેકાબૂ હતી કે છ કિલોમીટર દૂરથી પણ આગના ધૂમાડા જોવા મળી રહ્યા હતા. ફાયર ઓફિસરનું કહેવું છે કે જે જગ્યાએ આગ લાગવાનો બનાવ બન્યો છે ત્યાં શેડના પતરા નમી જવાથી પાણીનો મારો યોગ્ય સ્થળ પર થઈ શકતો નથી. આ જ કારણે આગ પર કાબૂ મેળવી શકતો નથી. સાણંદ જીઆઇડીસી એસોસિએશનના સભ્યોનું કહેવું છે કે, છેલ્લા કેટલાય સમયથી અહીં ફાયર સ્ટેશનની માંગ કરી હતી પરંતુ હજી સુધી તે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સદનસીબે આ કંપનીમાં આગ લાગી તે સમયે કોઈ કામદારો કામ કરી રહ્યા ન હતા, જેનાથી મોટી જાનહાની થતાં અટકી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આગ મામલે બુધવારે અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલાએ જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સીધી સૂચનાને પગલે એન.ડી.આર.એફ.ની ટૂકડી મોકલવામાં આવી છે. ફેક્ટરીમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ડાયપરનું ઉત્પાદન કરતી આ કંપની 80 એકરમાં ફેલાયેલી છે, જ્યાં 35 એકરમાં ઉત્પાદનની કામગીરી થાય છે.