દુર્ઘટના@સિદ્ધપુર: સસ્તા અનાજની દુકાને વૃદ્ધ ઉપર ઝાડ પડતાં મોત, 2 ઇજાગ્રસ્ત
અટલ સમાચાર,સિદ્ધપુર(હર્ષલ ઠાકર)
કોરોના મહામારી વચ્ચે સિદ્ધપુરના એક વૃદ્ધ પુરૂષનું પીએમજીવાયકે યોજના હેઠળ વિતરણ કરાતા મફત અનાજનો જથ્થો લેવા જતા મોત નિપજ્યું હતું. રાશન લેવા ઉભેલા આ વૃદ્ધ ઉપર અચાનક વૃક્ષ ધરાશાયી થતા તેમનું અરેરાટીભર્યું મોત થયું હતું. આ ઉપરાંત અન્ય બે ઇસમો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિદ્ધપુર સિવિલ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. આ અંગે અટલ સમાચારના પ્રતિનિધિએ સિદ્ધપુર પોલીસ મથકે માહિતી મેળવવાનો પ્રયાસ કરતા પીએસઓ બહાર ગયા છે તેઓ જવાબ મળ્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના સિદ્ધપુર શહેરમાં નદીરોડ ઉપર આવેલી ગંગાવાડી સામે આવેલી પંકજભાઈ વિનુભાઈ મકવાણાની મોર્ડન દિનદયાળ ગ્રાહક ભંડાર નામે સસ્તા અનાજ ની દુકાન આવેલી છે. આ દુકાન ઉપર અત્યારે કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિના અન્વયે પીએમજીવાયકે યોજના હેઠળ મફત અનાજના જથ્થાનું વિતરણ કરાતું હતું. આથી નવાવાસમાં રહેતા રેવાભાઈ દલાભાઈ સોલંકી, ઉ.વ.આશરે ૬૫ તેમના પરિવારના રેશનકાર્ડ પર મળતા જથ્થાને લેવા લાઇનમાં ઉભા હતા. તેવામાં અચાનક લીમડાનું તોતિગ ઝાડ ધરાશાયી થઇ તેમના ઉપર પડ્યું હતું.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અચાનક જમીનદોસ્ત થયેલા ઝાડ નીચે દલાભાઈ દટાઇ જતાં તેમનું મોત થયું હતું. દલાભાઈના આકસ્મિક અવસાનથી તેમના પરિવારજનોમાં શોકનું વાતાવરણ વ્યાપી ગયુ છે. આ ઉપરાંત અન્ય બે-ત્રણ લોકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. જે તમામને સિદ્ધપુર સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હોવાનું જાણવા મળેલ છે. આ ઝાડ નીચે પાર્ક કરાયેલા કેટલાક દ્વિ-ચક્રી વાહનોનો પણ દટાતા તેમનો પણ કચ્ચરઘાણ થઈ જવા પામ્યો હતો.