અમદાવાદ: મોબાઇલ માટે કેનાલમાં કુદનાર યુવકનો બે દિવસથી કોઇ પત્તો નહિ
અટલ સમાચાર,અમદાવાદ
ગાંધીનગર નજીકના કરાઈ નર્મદા કેનાલમાં રવિવારે બપોરે ડુબેલા યુવકનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. કેનાલના ઢાળ પર યુવક સેલ્ફી લેતો હતો ત્યારે તેના હાથમાંથી મોબાઇલ ફોન કેનાલમાં પડી ગયો હતો જે લેવા માટે યુવકે કેનાલમાં છલાંગ લગાવી હતી. અમદાવાદના સ્વસ્તિક સર્કલ નજીક આવેલી આઇટી કંપનીમાં નોકરી કરતાં મલય જોશી, અર્પણ પટેલ અને કેવલસિંહ રાઠોડ રવિવારે બાઈક લઇને કરાઈ નર્મદા કેનાલ પર ગયાં હતાં. કેનાલનાં ઢાળવાળી જગ્યાએ મલય પોતાનાં ફોનથી સેલ્ફી લઈ રહ્યો હતો. આ દરમિયાન તેના હાથ માંથી મોબાઈલ છટકી ગયો હતો.
મોબાઈલ કેનાલમાં પડી જતાં મલય તેને લેવાં માટે કેનાલમાં ઝંપલાવ્યું હતું. પાણીનો પ્રવાહ વધુ હોવાનાં કારણે મલય પાણીમાં તણાયો હતો. મલયને ડૂબતાં જોઈને અર્પણ અને કેવલસિંહ તેને બચાવવા માટે કેનાલમાં કુદયાં હતાં હતાં, જોકે સ્થાનિકોએ તેમને બચાવી લીધાં હતાં. ઘટનાની જાણ ફાયરબ્રિગેડ તેમજ ડભોડા પોલીસને થતા તે તાત્કાલીક દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે બન્ને વિરુદ્ધમાં દારૂ પીવાનો પણ કેસ કર્યો છે.