રાજકારણ: ટુંક સમયમાં અલ્પેશ ઠાકોર કેસરિયા રંગમાં રંગાશે, મંત્રીપદની ઓફર
અટલ સમાચાર,ગાંધીનગર
લોકસભાની ચૂંટણી પહેલા અને હવે પરિણામ બાદ ફરી અલ્પેશનું ભુત ઘુણવા લાગ્યુ છે. સૂત્રોનું માનીએ તો, અલ્પેશ ઠાકોર આગામી 20-25 દિવસમાં ભાજપમાં જોડાશે. તેઓ શક્તિપ્રદર્શન સાથે ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોરને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. ઉપરાંત ધવલસિંહ ઝાલા પણ જોડાય તેવી શક્યતા છે.
મંગળવારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ લોકોના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. આગામી 10 વર્ષ સુધી કોંગ્રેસ ઉભી નહીં થઈ શકે. કોંગ્રેસ પાસે સંગઠન નથી. અલ્પેશે ઉમેર્યુ હતુ કે, 15 થી 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડશે. કોંગ્રેસમાં ચૂંટાયેલા MLA અને સંગઠન વચ્ચે તાલમેલ નથી.
આ મામલે કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી ભાજપમાં જાવ તો કેબિનેટ મંત્રી બનાય, પરંતુ ભાજપના ધારાસભ્ય વફાદારી રાખે તો તેમને માત્ર વિધાનસભામાં અભિનંદન જ મળે છે. જ્યારે અલ્પેશ ઠાકોર મુદ્દે તેમણે કહ્યું હતું કે, 15 ધારાસભ્યો તો દૂરની વાત છે તેઓ પોતાનું ધારાસભ્ય પદ કેવી રીતે બચાવે છે તે જોવાનું રહેશે.