અંબાજી: વરસાદ ખેંચાતા ગુરૂવારે ઉજાણી મહોત્સવ, બજારો બંધ રાખવા ફરમાન
અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા)
અંબાજી -દાંતા પંથકમાં વરસાદ ખેંચાતા અને ગરમીનો ઉકળાટ વધતા પ્રજા પરેશાન થઈ રહી છે અને ખેડૂત પણ ચિંતિત બન્યો છે. વરસાદને રીઝવવા માટે યાત્રાધામ અંબાજીના બજારો આવતી કાલે બંધ રાખવાનો ફરમાન અંબાજી ગ્રામપંચાયતના સરપંચ એ કર્યું છે. ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અંબાજી પંથક માં વરસાદ નહિવત થયું છે. જેને લઈ પાણી ના તળ પણ વધુ ઊંડા જતા પીવાના પાણી ની સમસ્યા સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
ગુરુવારે અંબાજીના તમામ બજારો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી ગામ ઉજાણી કરવાનો નિર્ણય સરપંચ ઘ્વારા લેવાયો છે. અંબાજી સરપંચ દ્વારા લેખિત આદેશ કરી શૈક્ષણિક સંસ્થાઓ અને વેપારીઓને બજારો બંધ રાખવા અપીલ કરાઈ છે. જોકે અંબાજીમાં એક એવી પરંપરા જોવા મળી છે કે, ગામ ઉજાણીમાં લોકો વનભોજન કરી તથા હોમહવન અને મહાદેવજીના મંદિરમાં શિવલિંગને પાણીમાં ડુબાડી રાખવાથી વરસાદની પધરામણી થતી હોવાના પગલે ગુરૂવારે બંધ રાખવા આપીલ કરાઈ હોવાનું સરપંચ કલ્પનાબેન પટેલે જણાવ્યું હતુ.