અંબાજી: 185 વર્ષ જૂનો સંઘ 500 પદયાત્રી અને 61 ધજાઓ સાથે પહોંચ્યો
અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)
ગુજરાતનું જ નહીં પણ ભારતભરનાં કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાનું સ્થાન એટલે કે યાત્રાધામ અંબાજી જ્યાં વર્ષ દરમ્યાન લાખ્ખો પદયાત્રીઓ દ્વારા ભરાતો ભાદરવી પુનમનાં મેળાની વર્ષો જુની પરંપરાની શ્રધ્ધાળુઓ દ્વારા આજે પણ જાળવી રખાઇ છે. છેલ્લા 185 વર્ષથી અમદાવાદથી લાલ ડંડાનો સંઘ પોતાની પરંપરા મુજબ અંબાજી ખાતે 500 જેટલાં સંઘવી અને 61 જેટલી લાલ ધજાઓ લઇ માં અંબાના દ્વારે પહોંચ્યો છે.
85 વર્ષથી અમદાવાદથી લાલ ડંડાનો સંઘ પોતાની પરંપરા મુજબ અંબાજી આવે છે. આ સંઘ દ્વારા પહેલાં ખોડીયાર માતાના મંદિરે કુમકુમના થપ્પા લગાવવામાં આવે છે. અને પછી સંઘવીઓને પણ થપ્પો લગાયા પછી મંદિરમાં માતાજીને નેજા ચઢાવવામાં આવે છે. આ સંઘ સૌથી જુનો અને સૌથી મોટો માનવામાં આવે છે.
એક માન્યતા મુજબ અમદાવાદ શહેરમાં પ્લેગનાં રોગચાળાને ડામવાં આ અંબાજી પદયાત્રાની બાધા રાખવામાં આવી હતી. જે પરીપુર્ણ થતાં આ શ્રદ્ધાનાં વહેણ પદયાત્રા રૂપી આજે પણ વહી રહ્યા છે. અને વર્ષો જુની પરંપરાને આજે પણ નિભાવી સાથે અનેક બાધા રાખેલાં શ્રદ્ધાળુઓ પણ આ સંઘમાં જોડાય છે. સમગ્ર અંબાજી મંદિર પણ આ એક સાથે ધજાઓ આવતાં ચાચરચોક જાજરમાન બની જાય છે.