ચિંતા@અંબાજી: મેળો પુર્ણ થતાં જ ગંદકીનો દબદબો, ગટર ઉભરાવાનું યથાવત્
અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)
અંબાજી ધામે મેળો પુર્ણ થતાં જ ગંદકીનો દબદબો સામે આવ્યો છે. હજુ ગઇકાલે જ દેશભરમાં સ્વચ્છતા અભિયાન થયુ છતાં ગંદકીના દશ્યો સામે આવ્યા છે. અંબાજી ગામના રાધાકૃષ્ણ મંદીર પાસે ગટરો ઉભરાતા ગંદુ પાણી રેલાઇ રહ્યુ છે. જેનાથી શ્રધ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચવા સાથે સ્થાનિકો માટે આરોગ્યને લઇ ચિંતા ઉભી થઇ છે. ગ્રામ પંચાયતને તંત્રએ તાજેતરમાં નોટીસ આપી હોવા છતાં બેદરકારી છતી થઇ છે.
બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં કોઇપણ સંજોગોમાં સ્વચ્છતા જાળવી રાખવા કલેક્ટર મથી રહ્યા છે. જોકે ગ્રામ પંચાયત અને સંબંધિતો દ્રારા બેદરકારીને પગલે સ્વચ્છતા સામે ચેલેન્જ આવી રહી છે.
ભાદરવી પુનમના મેળા દરમ્યાન અંબાજીને સ્વચ્છ કરવામાં આવ્યા બાદ ફરી એકવાર ગટર ઉભરાઇ જવાની સ્થિતિ બની છે. અંબાજીમાં રાધાકૃષ્ણ મંદીરમાં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓને આસ્થા અને આરોગ્ય મુંઝવણમાં મુકી રહ્યા છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, અંબાજીના ગુલજારીપુરા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદીરની આગળ ગટરો ખુલ્લી હોવાથી 24 કલાક ગંદુ પાણી ભરાઇ રહે છે. જેને લઇ સ્થાનિકોને દરરોજ ગટરના પાણીમાં થવાની નોબત આવી છે. આ બાબતે સ્થાનિકોએ વારંવાર ગ્રામ પંચાયતને કરેલી ફરીયાદનો કાયમી ધોરણે નિકાલ થયો નથી. ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં નહિ આવે તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે.