ચિંતા@રાધનપુર: માર્કેટયાર્ડમાં નવા જીરાનું આગમન, પરંતુ ભાવમાં ઘટાડો
અટલ સમાચાર, રાધનપુર
રાધનપુરના માર્કેટયાર્ડમાં નવા જીરાનું આગમન થઇ ચુક્યુ છે. પરંતુ જીરાના ભાવમાં 500નો ઘટાટો નોંધાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સાથે એરંડા, ચણાં અને ઘાણા સહિતના પાકોના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાધનપુર અને સાંતલપુર પંથકમાં 8 હજાર હેક્ટરમાં જીરાનું વાવેતર કરવામાં આવેલ છે. જેમાં હાલ રાધનપુર માર્કેટયાર્ડમાં કુલ 1500 બોરી જીરાની આવક નોંધાઇ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનપુર માર્કેટયાર્ડમાં નવિન જીરાનું આગમન થતાંની સાથે જ ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જીરાનો ભાવ જે પહેલા 3300 હતો તે ઘટીને થયો 2800 થઇ જતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ સાથે એરંડામાં પણ 300 રૂપિયા, ચણાના ભાવમાં 200 રૂપિયા અને ધાણાના ભાવમાં પણ 400 રૂપિયાનો ઘટાડો થતાં પંથકના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, જીરૂ, એરંડા, ચણાં અને ધાણા સહિતના પાકોમાં ભાવ ઘટાડાને લઇ ખેડૂતોને સીઝનનો ખર્ચ માથે પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. રાધનપુર અને સાંતલપુર પંથકમાં 8 હજાર હેક્ટરમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યુ છે. રાધનપુર માર્કેટયાર્ડમાં અત્યાર સુધી જીરાની 1500 બોરીની આવક થઇ હોવાનું સામે આવ્યુ છે. જોકે પંથકના ખેડૂતોને જીરાનો પોષણક્ષમ ભાવ નહિ મળતાં ખેડૂતો મુંઝાયા છે.