હુમલો@મહેસાણા: વરઘોડામાં નજીવી બાબતે યુવકને ઇસમોએ છરીના ઘા માર્યા, 3 વિરૂધ્ધ FIR
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)
મહેસાણા તાલુકાના ગામે વરઘોડા દરમ્યાન કેટલાંક ઇસમોએ એક યુવકને છરીના ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે ગામમાં લગ્ન પ્રસંગને લઇ વરઘોડો નિકળ્યો હતો. આ દરમ્યાન ખેતરમાં પાણી વાળવા જતાં યુવકને વરઘોડાના કેટલાંક ઇસમો ટકરાયા હતા. જેને લઇ કહેવા જતાં ઇસમોએ યુવકને ડાબા પગના સાથળના ભાગે છરીના ઘા માર્યા હતા. જે બાદમાં ધોકા વડે માર માર્યા બાદ યુવક નીચે પડી જતાં તેના ગળામાં પહેરેલ સોનાનો 5 તોલાનો દોરો અને 10,000 ક્યાંક પડી ગયા હોવાની ફરીયાદ નોંધાઇ છે. આ તરફ ઇજાગ્રસ્ત યુવકને સાથળે 3 ટાંકા આવ્યા હોવાની વિગતો બહાર આવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા તાલુકાના વડસ્મા ગામે ગઇકાલે રાત્રે વરઘોડા દરમ્યાન સ્થાનિક યુવકને કેટલાંક ઇસમોએ છરીના ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. વડસ્માના નરેશ ઉદેસિંહ સોઢા ગઇકાલે રાત્રે જમી પરવારીને ખેતરમાં પાણી વાળવા જઇ રહ્યા હતા. આ દરમ્યાન રસ્તામાં જોગણી માતાના મંદીર પાસે રાવળવાસમાંથી વરઘોડો આવી રહ્યો હતો. જ્યાં વરઘોડામાંથી રાવળ જગદિશભાઇ અમરતભાઇ નાચતાં-નાચતાં નરેશ ઉપર પડ્યા હતા. જેથી તેને કહેલ કે, કેમ આવી રીતે અમારી ઉપર પડો છો ? આ તરફ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી જગદિશભાઇ, ગણપતભાઇ અને વિક્રમભાઇ રાવળે નરેશને છરીના ઘા માર્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, લગ્નના વરઘોડા દરમ્યાન નજીવી બાબતે ઇસમોએ યુવકને છરીના ઘા મારતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ગઇકાલે રાત્રે વરઘોડામાં જગદિશભાઇ રાવળ, ગણપતભાઇ રાવળ અને વિક્રમભાઇ રાવળે ઇસમને છરીના ઘા અને ધોકા વડે માર મારતાં તેઓ નીચે પડી ગયા હતા. જે બાદમાં તેમના ગળામાં પહેરેલ સોનાનો 5 તોલાનો દોરો અને ખીસામાં રહેતાં દસેક હજાર રૂપિયા ક્યાંક પડી ગયા હતા. આ તરફ યુવકને સારવાર અર્થે ખસેડતાં તેને 3 ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ લાંઘણજ પોલીસે 3 ઇસમ સામે આઇપીસી 323, 324, 403, 504, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.