બનાસકાંઠાઃ સુઇગામ પંથકમાં ખેડૂતોના પાકો ઉપર નુકસાન કારક તીડનો વરસાદ
અટલ સમાચાર, મહેસાણા, સુઈગામ (દશરથ ઠાકોર)
રાજસ્થાનના જેસલમેરના કેટલાક ગામોમાં તીડના આક્રમણ બાદ હવે બનાસકાંઠાના રણકાંઠામાં તીડનું આક્રમણ થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. સરહદી પંથક વાવ અને સુઈગામમાં તીડના આક્રમણથી તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવી દવાનો છંટકાવ કરવા લાગ્યું છે.
26 વર્ષ બાદ બનાસકાંઠામાં તીડનું આક્રમણ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ભારત પાકિસ્તાન સરહદ પરના ખારા રણના જેસલમેરથી બનાસકાંઠા સુધીના અફાટ રણ વચ્ચે પાકિસ્તાનથી આવેલા તીડના આક્રમણની દહેશત સેવાઈ છે. થોડા દિવસ અગાઉ જેસલમેર નજીકના 90થી વધુ ગામોમાં તીડની અસર જોવા મળતા ત્યાં તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
video:1
એક અઠવાડિયા અગાઉ વાવ તાલુકાના લોદ્રાણી અને અસારા ગામના રણવિસ્તારમાં છુટા છવાયા તીડ જોવા મળ્યા બાદ હવે સુઈગામમાં તીડ આવતા ખેતીવાડી વિભાગ દ્વારા લોકેશન મેળવી લેવાયા બાદ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા દવા છંટકાવ કામગીરી કરી નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તીડ દેખાય કે તુરંત તંત્રને જાણ કરો
video:2
બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી વિભાગે તીડ અંગેની માહિતી મળતા ત્વરિત તપાસ હાથ ધરી તેની વિગતો તીડ નિયંત્રણ કચેરીને પાઠવી દીધી છે. તીડના પ્રવેશથી ખેતીવાડી વિભાગે રણકાંઠાના ખેડૂતોને સાબદા કર્યા છે અને જ્યાં પણ તીડ જેવી જીવાત જોવાય તો તરત ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું છે. રણકાંઠાના ગામોમાં જ્યાં પણ તીડ જેવી જીવાત દેખાય કે તરત તલાટી, સરપંચ, મામલતદાર, ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગને જાણ કરવા ખેડૂતોને સૂચના અપાઈ છે. બીજી બાજુ જો વરસાદ થાય તો તીડ નાશ પામે છે. તીડના સંભવિત આક્રમણથી ખેડૂતોને કોઈ નુકસાન નથી પરંતુ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા હાલમાં 2 ટીમ બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કરી ખેડૂતોને નુકશાન માંથી બચાવવા પ્રયાસો હાથ ધર્યા છે.
ઊભા પાકને નુકસાન કરતા તીડથી ખેડૂતો ભયભીત
video:3
1993માં તીડ આવ્યા ત્યારે ખૂબ નુકસાન થયું હતું. હવે વર્ષો પછી ફરી બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં 1 કિલોમીટરના વિસ્તારમાં તીડની અસર જોવા મળી છે. જેથી તીડ નિયંત્રણ વિભાગે હાલમાં દવાનો છંટકાવ કરી નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં બનાસકાંઠા જિલ્લા સુઈગામ સહિતના કેટલાક વિસ્તારોમાં વર્ષો બાદ તીડનો વરસાદ જોવા મળતા ખેડૂતો ભયભીત બન્યા છે.
વહિવટીતંત્ર અગાઉ તીડની આશંકા વ્યક્ત કરી ચુક્યું છે
બનાસકાંઠા જિલ્લામાં તીડ ત્રાટકવાની જિલ્લાવહીવટી તંત્રએ અગાઉ સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે ખેડૂતો અને વહિવટીતંત્રને જણાવ્યું હતું કે, રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં મોટી સંખ્યામાં તીડ જોવા મળતા રાજસ્થાનમાં મુશ્કેલી સર્જાઈ છે. જે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને અસર કરી શકે છે. જેથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાતંત્રએ કેટલાક વિસ્તારોમાં તીડ ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરી હતી. અને તંત્ર તેમજ ખેડૂતોને સાબદા રહેવા જણાવ્યું હતું.