શરૂઆત@મહેસાણા: 106 ગામોના ખેડૂતોને પાણી માટે રાત્રી ઉજાગરા બંધ, દિવસે લાઇટ મળશે
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
કોરોના કહેર વચ્ચે આવતીકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી મહેસાણામાં કિસાન સુર્યોદય યોજનાનો પ્રારંભ કરાવશે. મહેસાણા જીલ્લાના 106 ગામોના ખેડૂતોને પાણી માટે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે. કિસાન સુર્યોદય યોજના થકી હવે ખેડૂતોને દિવસે લાઇટ મળશે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે. શહેરના ટાઉનહોલ ખાતે ડેપ્યુટી સીએમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સરકારના મતે ખેડુતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાથી ખેડુતોના જીવનમાં ખુશાલી આવનાર છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે 09 જાન્યુઆરીને શનિવારે સવારે 11:00 કલાકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવનાર છે. ખેડુતોને દિવસે વીજળી મળતાં રાતના ઉજાગરા, વન્ય જીવજંતુઓનો ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ, સૂર્ય ઉર્જા થકી દિવસે થતી વીજળીનો દિવસેજ વપરાશ થનાર છે. સૂર્યોદય યોજના થકી દિવસે વીજળી અને રાત્રે આરામની આ યોજના ખેડુતોને ખુશાલી થનાર છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉત્તર ગુજરાતમાં આ યોજના પ્રથમ તબક્કામાં મહેસાણા જિલ્લાના કુલ 106 ગામોને 1.34 મેગાવોટ વીજ પુરવઠાનું વિતરણનું આયોજન કરાયું છે. મહેસાણા તાલુકાના 16 ગામોને 4.10 મેગાવોટ વીજ પુરવઠાનું વિતરણ કરવામા આવેલ છે. નોંધનિય છે કે, ગુજરાતનું વીજ માળખું સુદ્રઢ કરવા આ યોજના માટે રૂ.3500 કરોડના ખર્ચે 66 કે.વીની 3490 સર્કિટ કિ.મી જેટલી 234 નવી ટ્રાન્સમીશન લાઇનો તથા 220 કે.વીના 09 નવા સબસ્ટેશનોનું આયોજન છે. આ યોજનાનો ઇ શુભારંભ 24 ઓક્ટોબર 2020ના દ્વારા કરવામાં આવ્યો હતો.