બ્રેકીંગ@ખેડબ્રહ્માઃ લૂંટના ઈરાદે આંગડીયા કર્મચારી ઉપર ફાયરીંગ, મોત
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
ખેડબ્રહ્મા શહેરમાં આજે મંગળવારે ભરબપોરે લૂંટના ઈરાદે આંગડીયા કર્મચારી ઉપર બંદૂકની ગોળીથી ફાયરીંગ કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. લૂંટારૂઓ પૈસા ભરેલી બેગ ઝુંટવી લેવા ફાયરીંગ કરતા કર્મચારીનું મોત થયું છે. ઘટનાને પગલે પંથકમાં દોડધામ મચી ગયા દરમિયાન મૃતકની લાશને જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ખેડબ્રહ્મા પોલીસે હત્યાને પગલે લૂંટારૂઓને ઝડપવા કવાયત હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં લૂંટનો ઈરાદો અને હત્યાની ઘટના સામે આવી છે. સરદારચોકથી પેટ્રોલપંપ જતા માર્ગ પર આવેલી એન માધવલાલ એન્ડ કંપની નામની આંગડીયા પેઢીના કર્મચારી નાયક કિરણ હરગોવિંદ ઉપર ફાયરીંગ થયું હોવાનું સામે આવ્યું છે. બપોરે અચાનક ફોર વ્હીલર ગાડીમાં આવી લૂંટારૂઓ પૂર્વ આયોજીત લૂંટના ઈરાદે આંગડીયાના કર્મચારી પાસેથી પૈસા ભરેલી બેગ ઝુંટવી લેવા જીવલેણ ચપ્પાના ઘા માર્યા હતા. તેમછતાં હિંમતવાન કર્મચારીએ પોતાની પાસે રહેલ લાખો રૂપિયા ભરેલો થેલો પકડી રાખ્યો હતો. જેથી લૂંટારૂઓએ ગોળી મારી હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સૂત્રોએ જણાવ્યું હતું કે, લૂંટારૂઓ કેટલી રકમ ઝુંટવી ગયા છે કે કેમ તેની વિગતો સ્પષ્ટ થઈ શકી નથી પરંતુ કર્મચારી ઉપર ફાયરીંગથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર રીતે ઘાયલ આંગડીયા કર્મચારીનું બંદૂકની ગોળીથી મોત થયું છે. ખેડબ્રહ્મા પોલીસને જાણ થતા મૃતકની લાશ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી લૂંટારૂઓને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.