બ્રેકિંગ@મહેસાણા: સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલના 5માં માળે આગ, જાનહાનિ ટળતાં મોટી રાહત
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
કોરોના કહેર વચ્ચે મહેસાણાની સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં આજે બપોરના સમયે આગ લાગી હતી. જોકે સદનસીબે જાનહાનિ ટળતાં ડોક્ટરો સહિતનાએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક વિગતો અને સ્થાનિક ચર્ચાઓ મુજબ સિલિંગ કેસેટ એસીમાં શોર્ટ-સર્કિટના કારણે આગ લાગી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. જોકે હજી સુધી આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. આ તરફ શોર્ટસર્કિટને કારણે હોસ્પિટલની લાઇટો બંધ કરાઇ હોવાથી દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કવાયત વચ્ચે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી કતાર લાગી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલ સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલના પાંચમાં માળે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આજે બપોરના સમયે હોસ્પિટલના પાંચમાં માળેથી એ.સીમાંથી ધૂમાડા જોવા મળતાં આગ લાગ્યાનું ખૂલ્યુ હતુ. જોકે સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં હાલ 15 દર્દીઓ સારવાર લઇ રહ્યાં હોઇ જાનહાનિ ટળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ પ્રાથમિક વિગતો મુજબ સિલિંગ કેસેટ એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું ચર્ચાઇ રહ્યુ હોઇ હાલ પુરતી હોસ્પિટલમાં લાઇટો બંધ કરવામાં આવી છે. જેને કારણે કોવિડ દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવા કવાયત શરૂ કરાઇ છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોવિડ હોસ્પિટલોમાં વધી રહેલ આગની ઘટનામાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. મહેસાણાની સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ ફાયરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઇ હતી. પાંચમાં માળે એસીમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગને કારણે ધૂમાડા નીકળતાં લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. જોકે કોઇપણ જાતની જાનહાનિ નહી સર્જાતાં મોટી રાહત મળી છે. આ તરફ કોવિડ દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં લઇ જવાના હોઇ હાલ હોસ્પિટલ આગળ એમ્બ્યુલન્સનો કતારો જોવા મળી હતી.