બ્રેકિંગ@પાલનપુર: સરકારી જગ્યામાં ધંધો કર્યો, જમીન હડપ વિરૂધ્ધના કાયદાનો પ્રથમ ગુનો
અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર
રાજ્ય સરકારે તાજેતરમાં સરકારી જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બહાર પાડ્યો છે. જેની અમલવારીને લઇ બનાસકાંઠા જીલ્લામાં સૌપ્રથમ ગુનો દાખલ થયો હોવાનું સામે આવતાં દબાણકારોમાં ખળભળાટ મચી ગયો છે. પાલનપુર તાલુકાના ગામે 2 ઇસમોએ સરકારી જમીન પર દબાણ કર્યુ હોવાનુ ધ્યાને આવતાં તંત્રએ તપાસ કરી હતી. જેમાં રેવન્યુ તલાટીથી માંડી નાયબ કલેક્ટર સુધી તપાસ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી ધંધો કરતાં હોઇ મહિલા રેવન્યુ તલાટીએ નવા કાયદા મુજબ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ(જ) ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ સામે મોટી કાર્યવાહી થઇ છે. સરકારના તાજેતરના જમીન પચાવવા પર પ્રતિબંધના કાયદાનો પ્રથમ ગુનો નોંધી કડક અમલવારીની શરૂઆત થઇ છે. જે.પી.માર્કેટીંગ કંપનીના વહીવટદાર ઉસ્માન પટેલ અને જાવેદ પટેલે આર્થિક ફાયદા માટે સરકારી જમીન સર્વે નં-6માં ત્રણ ઓરડીઓ બનાવી હતી. જગ્યા પરના બાંધકામનો ઉપયોગ સાબુ અને વોશિંગ પાવડરના સંગ્રહ માટે કરતાં હતા. જેની તપાસ બાદ તંત્ર દ્રારા નોટીસ આપી જગ્યા છોડવાં કહ્યું હતુ. જોકે દબાણ દૂર નહીં થતાં રેવન્યુ તલાટી, સર્કલ, મામલતદાર અને નાયબ કલેક્ટર સહિતનાએ કાર્યવાહી કરી હતી. જેના અંતે ગુનો દાખલ કરવા હુકમ થયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, તંત્ર દ્રારા જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુલ સરકારી જમીનમાં દબાણકર્તાઓએ કેટલું દબાણ કર્યુ છે તેની ડીએલઆરને જાણ કરી બીજી તરફ નવા કાયદા મુજબ ગુનો નોંધાવી દેવામાં આવ્યો છે. જીલ્લાની એન્ટી લેન્ડ ગ્રેબિંગ કમિટીના આદેશ મુજબ સેજાની ફરજમાં આવતાં રેવન્યુ તલાટી મનીષા શાહે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3, 4(3), 5(c) તથા આઇપીસી કલમ 447, 34 મુજબ ગુનો નોંધાવ્યો છે. જેને લઇ પાલનપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.