ચકચાર@બેચરાજી: યુવાન મહિલાની કેનાલમાંથી મળી લાશ, હત્યા કે આપઘાત ?
અટલ સમાચાર, મહેસાણા
કોરોના મહામારી વચ્ચે બેચરાજી નજીકની કેનાલમાં અજાણી મહિલાની લાશ મળી આવતાં હડકંપ મચી ગયો છે. આજે બપોરના સમયે પંથકની કેનાલમાં આશરે 35 વર્ષિય મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી લાશની ઓળખવિધિ કરવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના રાંતેજ નજીક રામપુરા પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાંથી 35 વર્ષિય મહિલાની લાશ મળી આવી છે. આજે બપોરે કેનાલમાંથી લાશ મળી આવ્યા બાદ રાત્રીના નવ વાગ્યા સુધી હજી મહિલાની ઓળખ થઇ શકી નથી. ઘટનાને લઇ પોલીસે મહિલા ક્યાંની રહેવાસી અને તેના પરિચિતોનો શોધવા મથામણ કરી રહી છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારી વચ્ચે આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. જોકે આ મહિલાએ આત્મહત્યા કરી કે પછી કોઇએ હત્યા કરી લાશ ફેંકી દીધી તે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. આ તરફ કેનાલમાંથી લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.