ચકચાર@મહેસાણા: રોકાણના બહાને 7 વર્ષમાં 3 કરોડ ખંખેર્યા, આખરે ફરીયાદ
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણાના રહીશને ગુજરાતી અને તેના બિનગુજરાતી મિત્રો સાથે ધંધાકીય પરીચય થયો હતો. જેમાં રહીશને રોકાણ કરવાના બહાને વિશ્વાસમાં લઇ નાણાં પડાવ્યાનું સામે આવ્યુ છે. વિદેશી રોકાણના બહાને ગત 7 વર્ષમાં 3 કરોડ 38 લાખ ખંખેર્યા હતા. જે રકમ પરત ન આવતા છેતરાઇ ગયા હોવાનું ભાન થતા હસમુખભાઇ મહેતાએ કુલ પાંચ ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે.
મૂળ કચ્છ અને હાલ મહેસાણા રહેતા ઇસમ સાથે અધધધ…. 3 કરોડ 38 લાખની છેતરપિંડી થઇ છે. એકાઉન્ટનો વ્યવસાય કરતા હસમુખભાઇ ઇન્દ્રજીતભાઇ મહેતા(ઉ.વ.60)ને કેટલાક ઇસમો સાથે વ્યવસાયિક સંબંધો બન્યા હતા. મહેતાજીને વિશ્વાસમાં લઇ કેનેડીયન આઇપીઓમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી ગત વર્ષ 2012 થી 21/01/2019ના સમય દરમ્યાન નાણા પડાવ્યા હતા. કુલ પાંચ ઇસમોએ 7 વર્ષના ગાળામાં 3 કરોડ 38 લાખ પડાવી લીધા હતા.
આટલી મોટી રકમનું રોકાણ છતાં કંઇ પરત નહિ આવતા મહેતાજીને છેતરાયા હોવાનુ ભાન થતા પગતળેથી જમીન ખસી ગઇ હતી. જેથી મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ મથકે વિક્રમ શર્મા, બેનરજી, પટેલ, અમીત અને અભિમન્યું સહિત પાંચ ઇસમો વિરૂધ્ધ મોબાઇલ નંબર સાથે ફરીયાદ કરી છે. પોલીસે 121/19 ઇ.પી.કો ક.406,420,114 તથા આઇ.ટી.એક્ટ ક.66, 66-સી, 66-ડી મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.