છોટાઉદેપુર: આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઘર્ષણ, PSI સહિત 7 કર્મી સામે FIR
અટલ સમાચાર, ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે છોટાઉદેપુરમાં આર્મી જવાન અને પોલીસ વચ્ચે બબાલની ઘટના સામે આવ્યા બાદ હવે 7 પોલીસકર્મીઓ સામે ફરીયાદ દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે. છોટાઉદેપુર પોલીસના PSI સહિત 7 પોલીસ કર્મીઓ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. 4 દિવસ પહેલા બનેલી ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
છોટાઉદેપુરમાં ગત 16 જૂનના રોજ અનીશ રાઠવા(આર્મી) બાઇક લઇ અને જતા હતા. આ દરમ્યાન છોટાઉદેપુર ચોકડી પર પેટ્રોલિંગમાં હાજર પોલીસ અધિકારીઓએ બાઇક પાછળ બેસેલ વ્યક્તિએ માસ્ક પહેર્યુ ન હોવાથી રોકાવ્યા હતા. જોકે દંડ ભર્યા બાદ ફરીયાદીએ પાવતી માંગતા પોલીસ કર્મચારીઓએ પાવતી આપવાની ના પાડી હતી. જેને લઇ ફરીયાદી પોતે આર્મીમાં સૈનિક હોવાનું જણાવી પાવતી માટે આગ્રહ કર્યો હતો. જોકે બાદમાં પોલીસ કર્મચારીઓએ ફરીયાદીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
આ દરમ્યાન પોલીસ કર્મચારીઓને મોટો આર્મી અધિકારી થઇ ગયો હોવાનું કહી માર માર્યો હતો. આ સાથે મુછો નિકાળી દેવાનું કહી મુછો ખેંચી હોવાનું ફરીયાદમાં ઉમેર્યુ છે. આ તરફ પીએસઆઇ સહિતનાએ 24 કલાકથી ઉપરની ગેરકાયદેસર અટકાયત કરી મારઝૂડ કરી અને જાતિવિષયક શબ્દો બોલી અપમાનિત કરેલ હોવાથી અનીશ રાઠવાએ આરોપીઓ સામે ફરીયાદ નોંધવી છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આર્મી સૈનિક અનિશ રાઠવાને માર મારવાના ગુનામાં 7 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. અનિશ રાઠવાએ પી.એસ.આઈ. પ્રજાપતિ, શસનાભાઈ સેલિયાભાઈ (આ.હે.કો.) ઉત્તમભાઈ શનાભાઈ (કોન્સ્ટેબલ) તેમજ અન્ય 4 પોલીસ અધિકારીઓ સામે એફઆઇઆર નોંધાવી છે. છોટાઉદેપુર પોલીસે આઇપીસીની કલમ 323,330,504,337,506(2),166,114 અને અનુસુચિત જાતી અને અનુ.જન જાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(2)(v),3(1)(c),3(1)(e) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે