મંથન@સંગઠન: બે દિગ્ગજોની હાર બાદ ઠાકોરસેનાની પ્રથમ બેઠક મહત્વની બનશે
અટલ સમાચાર, મહેસાણા
ઠાકોરસેનાના સર્વેસર્વા ગણાતા અલ્પેશ અને ધવલ ઝાલાની વિધાનસભા પેટાચુંટણીમાં કારમી હાર થતા સંગઠનને ઠેસ પહોંચી છે. ધારાસભ્ય પદ ગુમાવ્યા બાદ આજે અલ્પેશ અને ધવલસિંહ ઝાલા માટે ઠાકોરસેનાની બાગદોર અત્યંત મહત્વની બનશે. ખાસ કરીને રાજકીય સત્તા વિના સંગઠનમાં મજબૂતાઇ લાવવા અનેક બાબતો ઉપર આજે મંથન થઇ શકે તેવા એંધાણ છે. જોકે બેઠકના મુદ્દા વિશે સત્તાવાર કોઇ માહિતી આવી ન હોવાથી કયાસ લગાવવામાં આવી રહ્યા છે.
આજે ઠાકોરસેનાની પ્રદેશ કાર્યાલય ઉપર બેઠક બોલાવવામાં આવી હોઇ કાર્યકરો દોડી ગયા છે. અલ્પેશ અને ધવલ ઝાલાએ ધારાસભ્ય પદ ગુમાવ્યા બાદ આ પ્રથમ બેઠક સંગઠન માટે મહત્વની હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આગામી ત્રણ વર્ષ સુધી ધારાસભ્ય નહિ બની શકે તેમ હોઇ ઠાકોરસેનાના સર્વેસર્વા માટે સંગઠન ચલાવવુ અને વધુ મજબૂત કરવુ સૌથી વધુ મહત્વનું બની ગયુ છે. ખાસ કરીને ઠાકોરસેના સંગઠન અને ભાજપ સંગઠનને પણ પુરતો સમય આપવો અલ્પેશ અને ધવલસિંહ માટે એક પરીક્ષા જેવો બની ગયો છે.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ધારાસભ્યની ચુંટણી હારી ગયા બાદ અલ્પેશ અને ધવલસિંહ માટે સંગઠનમાં જોશ ભરવાનું લોઢાના ચણા ચાવવા સમાન બની ગયુ છે. જોકે ઠાકોરસેના સંગઠનના આગેવાન એવા ભરતજી ઠાકોર કોંગ્રેસી ધારાસભ્ય હોઇ કાર્યકરોને મદદ મળી રહે તેમ છે. મહત્વની વાત એ છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા બાદ અલ્પેશ અને ધવલ ઝાલાએ ચુંટણીમાં હાર સ્વિકાર્યા બાદ ઠાકોરસેનામાં બેચરાજી ધારાસભ્ય ભરતજીની ભુમિકા જોવી રહી!