શરૂઆત@ચાણસ્મા: મુખ્યમંત્રીના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પ્રારંભ
અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા
ચાણસ્મા તાલુકાના ગામેથી આજે મુખ્યમંત્રી રૂપાણીએ જળ સમૃદ્ધ ગુજરાતની નેમ સાથે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા ચરણનો આરંભ કરાવ્યો છે. આ સાથ અભિયાનમાં જન-જનને જોડીને જળ અભિયાન જન અભિયાન બનાવવાનું પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ રાજ્યવ્યાપી અભિયાન બે મહિના રાજ્યમાં ગામ-જિલ્લા-તાલુકા સ્તર સુધી ચાલવાનું છે ત્યારે હરેક નાગરિક, યુવાનો સૌ કોઇ અઠવાડિયામાં બે દિવસ શ્રમ યક્ષથી અભિયાનમાં જોડાય.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તેમણે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા ચરણનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે સાધન અને શ્રમના ઉપયોગથી જળસ્ત્રોતોના નવસર્જન દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવી ખેતીવાડી, પશુપંખી અને માનવ વસ્તીને પૂરતું પાણી પુરૂં પાડી વાસ્તવમાં હરિયાળી ક્રાંતિ સાકાર કરવાની નેમ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ ચોમાસા પૂર્વે આ અભિયાનમાં પાડેલો પરિશ્રમનો પરસેવો ચોમાસા પછી જળ સમૃદ્ધિથી વિકાસના પારસમણિ રૂપે ઉગી નીકળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, આ વર્ષે સુજલામ સુફલામ અભિયાનના ચોથા ચરણમાં સમગ્ર રાજ્યમાં 18,582 જેટલા કામો જનભાગીદારીથી હાથ ધરી 20 હજાર લાખ ઘનફૂટ વધારાની જળસંગ્રહ ક્ષમતા ઊભી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેની વિશદ ભૂમિકા આપી હતી. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, કાંસની સાફસફાઇ દ્વારા નદીઓ પૂન: જિવીત કરી રાજ્યમાં હરિયાળી ક્રાંતિ લાવવાની દિશામાં સરકારના પ્રયત્નો હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતુ.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ, જી.આઇ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ સંગઠનના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ સહિતના હોદ્દેદારો, જળસંપત્તિ વિભાગના સચિવ એમ.કે. જાદવ, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.