મુંઝવણ@અંબાજી: વરસાદની ખેંચને પગલે ખેતીવાડી બની રહી છે સૂકીભઠ્ઠ
અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા)
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની વત્તા ઓછા પમાણમાં જમાવટ થઇ છે. જોકે, બનાસકાંઠા જિલ્લાના અંબાજી-દાંતા પંથકમાં હજી વરસાદ મન મૂકીને વરસ્યો નથી. જેનાથી વિસ્તારની જમીન ધીમે-ધીમે ભેજ વિના સૂકીભઠ્ઠ બનતી જાય છે. શરૂઆતમાં પડેલા વરસાદના હળવા ઝાપટાંને પગલે ખેતરમાં વાવેતર કરી દીધા બાદ ખેડુતો મુંઝવણમાં મુકાયા છે.
ખેડૂતો હાલ ખેતરોમાં ઉભા થયેલા પાકની સારસંભાળમાં લાગી ગયા છે, નિંદામણ પણ કરી રહ્યા છે. હવે વરસાદની ખેંચ પડતા ગરમીથી પાકના છોડવાઓ મુરઝાતા જાય છે. જો આગામી ટુંક સમયમાં વરસાદ નહીં પડે તો પાક સુકાઇ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ગત સિઝનમાં પણ ખેડૂતોએ વાવેતર કર્યા બાદ દુષ્કાળની પરિસ્થિતિ બનતા ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો.
અંબાજી દાતા પંથકમાં ખેતીવાડી થયેલી જમીન સુકી પડતી જાય છે. એટલું જ નહીં જે વાવેતર ઉગી નીકળી છે તે પણ હવે મરવાના વાંકે જીવી રહ્યું છે. ઉગી નીકળેલો પાક હવે વરસાદ વગર આડો થવા લાગ્યો છે જેને લઇ ખેડૂત ચીંતીત બન્યો છે.