કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 86,508 કેસ, 1129ના મોત, કુલ 57.32 લાખ દર્દી
અટલ સમાચાર, ડેસ્ક
ભારતમાં સતત ત્રીજા દિવસે કોવિડ-19 સંક્રમિત લોકોનો આંક 90 હજારની નીચે નોંધાયો છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે કોરોના વાયરસથી કુલ 57 લાખ લોકો સંક્રમિત થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક 91 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,508 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 1,129 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 57,32,519 થયા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 46 લાખ 74 હજાર 988 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,66,382 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 91,149 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરુવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 23 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 6,74,36,031 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 11,56,569 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં 23મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1372 નવા કેસ પોઝિટિવ નોંધાયા, જ્યારે 1289 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 15 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,17,709 એ પહોંચી ગયો છે.