નુકશાની@કાંકરેજ: જીરૂના પાકને ત્રાસદી, ખેડુતોના જીવ તાળવે
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)
કાંકરેજ પંથકના ખેડુતોની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. ફુલગુલાબી ઠંડી અને ઝાકળ વચ્ચે જીરૂના પાકમાં ચરમી આવતા જગતનો તાત મુંઝાયો છે. આ સાથે વરીયાળી, ઘઉં અને તમાકુ જેવા પાકની ઉપજમાં પણ ખેડૂતો માટે ચિંતાનો માહોલ સર્જાયો છે. તો વળી, બેંક દ્રારા ખેડૂતોને પાકવીમા યોજનામાં પણ વળતર ન ચૂકવાતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ પંથકના ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. ખેડુતોને જીરૂના પાકમાં ચરમી આવતા કૃષિ નુકશાનીનો ભય સતાવી રહ્યો છે. તાલુકાના આકોલી ગામના ખેડુત વાઘેલા દાદુભાએ અટલ સમાચાર ડોટ કોમને જણાવ્યુ હતુ કે, અગાઉ પણ કમોસમી વરસાદથી અનેક પ્રકારની નુકશાની વેઠી ખેતીની વેદનામાંથી માંડ ઉગર્યા છીએ. તો હવે અચાનક વાતાવરણમાં પલટો આવતાં જીરાના ઉભા પાકમાં ચરમી આવી જતા ચિંતાનો વિષય બન્યો છે. હવે ફકત સરકારના નિયમો મુજબ કાર્યવાહી કરી યોગ્ય રીતે વળતર ચૂકવવા માટે માંગણી કરી હતી.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, કાંકરેજ પંથકના ખેડુતોને એક સાંઘે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ સર્જાઇ છે. આ સાથે ખેડૂતોને બેંકો દ્વારા પાકવીમા યોજનામાં પણ વળતર ચૂકવવામાં આવતું નથી. ત્યારે, ગુજરાત સરકાર બેંકોના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સોલ્યુશન લાવે અને ખેડૂતોને આર્થિક સહાય અને ન્યાય અપાવે તેવી આશા વ્યક્ત કરી હતી.