નિર્ણય@અમદાવાદ: કોરોના ઇફેક્ટ, સિવિલ હોસ્પિટલમાં 1 મહિના માટે સાંજની OPD બંધ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં વધતાં જતાં કોરોના કહેર વચ્ચે અને ખાસમાં મહાનગર અમદાવાદમાં કેસો વધતાં તંત્ર હરકતમાં આવ્યુ છે. આજે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે. કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની OPD બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય સચિવ કે.કૈલાસનાથન દ્વારા સિવિલ મેડિસીટીના સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિ અંગેની વિગતવાર માહિતી લેવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ આગોતરા આયોજનના ભાગરૂપે દર્દીઓની જન સુખાકારી માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના માટે તબીબો સાથે સમૂહમાં ચર્ચા કરીને વિચારણાં બાદ આ નિર્ણય હાથ ધરવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, સિવિલ મેડિસીટીમા આવેલી કેન્સર, કિડની હોસ્પિટલની નવી બિલ્ડીંગને કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ રીતે કોરોનામાં પરિવર્તિત કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની OPD બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો જે. વી. મોદી, IKDRCના ડાયરેક્ટર વિનીત મિશ્રા,બી.જે.મેડિકલ કોલેજના ડીન ડૉ.પ્રણય શાહ, જે-તે વિભાગના વડાસહિત સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા હતા.