નિર્ણય@અંબાજી: કોરોનાના વધતા કેસોને લઇ તમામ દુકાનો 17 તારીખ સુધી બંધ
અટલ સમાચાર, અંબાજી
અંબાજી પંથકની આસપાસ કોરોના વાયરસની એન્ટ્રીને કારણે વેપારીઓએ 17 તારીખ સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આજે અંબાજીમાં પોલીસ ઇન્સ્પેક્ટર, દુકાનદારો, વેપારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. જેમાં હાલની સ્થિતિને જોઇ આગામી 17 તારીખ સુધી કરિયાણા-શાકભાજી સહિતની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે દૂધ-મેડિકલ અને ચક્કી(ઘંટી) સવારે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ઉત્તર ગુજરાતના રેડ ઝોન બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજે વેપારીઓ અને આગેવાનોની મીટીંગ મળી હતી. હાલની સ્થિતિ અને અંબાજી આસપાસના દાંતા, હડાદ સહિતના વિસ્તારોમાં કોરોના વાયરસે દેખા દેતા વેપારીઓ ચિંતિત બન્યા હતા. આજે મળેલી મીટીંગમાં કરિયાણા-શાકભાજી સહિતની તમામ દુકાનો આગામી 17 તારીખ સુધી બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 81 કેસ પોઝિટીવ આવ્યા છે. આજે અંબાજી મળેલી મિટીંગમાં તમામ વેપારીઓએ સ્વેચ્છાએ શહેરીજનોની સુરક્ષા માટે દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે આ બધાની વચ્ચે અંબાજીમાં દૂધ-મેડિકલ અને ચક્કી(ઘંટી) ચાલુ રહેશે તેમ પણ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે.