નિર્ણય@સાબરકાંઠા: વડાલી શહેર 5 દિવસ સ્વયંભૂ બંધ, તખતગઢમાં લોકડાઉન
અટલ સમાચાર, સાબરકાંઠા
કોરોના મહામારી વચ્ચે સાબરકાંઠા જીલ્લાનું વડાલી શહેર પાંચ દિવસ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક વેપારીઓ અને પાલિકા સત્તાધીશો સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 18 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી વડાલી શહેર બંધ રહેશે. જેને લઇ શહેરમાં સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓ ચાલુ રહેશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક કેસો છેલ્લા કેટલાય દિવસોથી 1300ને પાર થઈ ગયા છે, ત્યારે સાબરકાંઠાનું વડાલી શહેર પાંચ દિવસ માટે સ્વંયભુ બંધ રહેશે. સ્થાનિક વેપારીઓ અને પાલિકા સત્તાધીશો સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ ગામે પણ એક અઠવાડીયાનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી દીધુ છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામે પણ એક સપ્તાહનું સ્વંયભુ લોકડાઉન જાહેર કરી દીધુ છે. આ સુમસામ રસ્તાઓ અને ગલીઓ જોઇને જ લાગે છે કે, આ ગામને કોઇ સંકટની દહેશત લાગી રહી છે, બિલકુલ આ ગામને પણ કોરોના અંગેની દહેશત છે. એટલે જ હવે આ ગામની ગલીઓ અને ચોરા પણ સુમસામ બન્યા છે. દીવસનો સમય હોવા છતાં આ વિસ્તારના મોટા ગામમાં કોઇ જ ચહલ પહલ જોવા મળતી નથી. ગામના લોકો પણ ગામમાં કોરોના ના સંક્રમણને લઇને સાવચેતીના પગલા દાખવવા લોકડાઉનનો ચુસ્ત અમલ પણ કરતા જોવા મળી રહ્યા છે.