નિર્ણય@ઊંઝા: કૃષિ કાયદાના વિરોધમાં ગંજના વેપારીઓનું સમર્થન, 25મીએ બંધ
અટલ સમાચાર, મહેસાણા
કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્રારા એપીએમસી એક્ટ સુધારા અધ્યાદેશના વિરોધમાં ખેડૂત સંગઠનો ભારે વિરોધ કરી રહ્યા છે. જેમાં દેશભરના અનેક ખેડૂત સંગઠનો અને મંડીઓ દ્રારા આગામી શુક્રવારે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપ્યુ છે. જે અંતર્ગત ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોશિએશનને પણ બંધને સમર્થન આપ્યુ છે. વેપારીઓએ કેન્દ્ર સરકારના કૃષિ કાયદા બાબતે ભયંકર બેરોજગારી અને આત્મઘાતી પગલું હોવાનું લખ્યુ છે. હાલની સ્થિતિએ કાયદો અમલમાં આવે તે માટે માત્ર રાષ્ટ્રપતિની મહોર બાકી હોઇ ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોશિએશને ખેડૂતોના કૃષિબિલ વિરોધને લઇ અપાયેલા બંધને સમર્થન આપ્યુ છે. કેન્દ્ર સરકાર દ્રારા લવાયેલા ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ, ફાર્મર્સ(એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ અશ્યોરન્સ એન્ડ ફાર્મા સર્વિસીસ બિલ અને એસેન્શિયલ કમોડિટીઝ(અમેન્ડમેન્ટ બિલ) લોકસભા અને રાજ્યસભામાં ભારે વિરોધ વચ્ચે પાસ થઇ ચુક્યુ છે. આ તરફ રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી ન મળે તે માટે ખેડૂત સંગઠનોએ એકતા પ્રદર્શન બતાવવાં 25મી સપ્ટેમ્બરે બંધનું એલાન આપ્યુ છે. જેમાં ઊંઝા ગંજના વેપારીઓ જોડાયા છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અધ્યાદેશના વિરોધમાં ખેડૂત સંગઠનોએ તા.25-09-2020ને શુક્રવારે દેશવ્યાપી હડતાલ જાહેર કરી વધુને વધુ સમર્થન મેળવવા કવાયતમાં લાગ્યા છે. આ બિલ કાયદો બને તો મંડીઓમાં ધંધો કે મજૂરી કરતાં આડતિયાઓ, વેપારીઓ, મુનીમો, મેનેજરો, ગાડીઓ ઉતારી ભરવાવાળા મજૂરો, તોલત હમાલ તથા પરચુરણ પેટીયું રળતાં લાખો લોકો બેરોજગાર થઇ જશે તેવી ભીતિ ઊંઝા ગંજના વેપારી એસોસિએશને વ્યક્ત કરી છે. જેને લઇ આગામી શુક્રવારે ખેડૂત સંગઠનના દેશવ્યાપી બંધને ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસીએશને ટેકો જાહેર કર્યો છે.