દિયોદરઃ તાલુકાના સરપંચોનો એક દિવસીય પ્રેરણા પ્રવાસ
અટલ સમાચાર, પાલનપુર
જળ શક્તિ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ ગામો જળ સંચયની કામગીરી કરે તે માટે વાસ્મો, પાલનપુર કચેરી દ્રારા બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સરપંચોનો એક દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન પાલનપુર તાલુકાના વેડંચા અને પારપડા ગામે રાખવામાં આવેલ.
આ પ્રેરણા પ્રવાસમાં વાસ્મોના યુનિટ મેનેજર જે.પી.પટેલ, તાલુકા અધિક મદદનીશ ઇજનેર એ.એમ.ચોરાસીયા, ટેકનિકલ આસીસ્ટન્ટ સાહિલભાઇ નાગોરી, જિલ્લા ફ્લોરોસિસ સલાહકાર સ્વીટીબેન એમ.પ્રજાપતિ અને વાસ્મો પાલનપુર કચેરીનો સ્ટાફ હાજર રહેલ.
વેડંચા ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઇ જી.ફોસી દ્રારા પોતાના ગામમાં જળ સંચય માટે ગામમાં બંધ પડેલ 48 કૂવા અને બોર કેવી રીતે રીચાર્જ કર્યા તથા આ રીચાર્જિગ કરવાથી ગામના ભુગર્ભ જળમાં કેટલો વધારો થયો તે વિશે હાજર રહેલ સરપંચઓને સમજ આપેલ.
પારપડા ગામના સરપંચ રમેશભાઇ એન.અટોસ દ્રારા પોતાના ગામમાં બંધ પડેલ કૂવા અને તળાવ કેવી રીતે રીચાર્જ કરેલ તથા આ રીચાર્જિંગ કરવાથી શું ફાયદા થયા તે વિશે સમજ આપેલ વધુમાં આ આ જળ સંચયના ભગીરથ કાર્યમાં ગામના વધુમાં વધુ ખેડૂતોને કેવી રીતે જોડેલ તે માટે ગ્રામ પંચાયતની શું જવાબદારી રહે છે તે અંગે સમજ આપેલ.
જિલ્લા ફલોરોસીસ સલાહકાર દ્રારા પાણી અને આરોગ્ય વિશેના સંબંધ તથા પાણીમાં નાઇટ્રેડ અને ફલોરાઇડની માત્રા જરૂરીયાત કરતાં વધુ હોય તો તેની માનવ શરીર પર કેવી અસરો દેખાય છે અને તેને નિવારવા માટેના ઉપાયો વિશેની સમજ આપવામાં આવેલ.
વાસ્મોના યુનિટ મેનેજર દ્રારા જળ સંચય શા માટે? આગામી સમયમાં ઉપસ્થિત થનાર શુધ્ધ પાણીની ઉપલબ્ધતા વિશેની સમસ્યા અને તેને નિવારવા માટે જળ સંચય કેમ કરવાની જરૂરીયાત ઉભી થઇ તે વિશેની સમજ આપવામાં આવેલ.