આફત@સુઇગામ: દિવેલાનો પાક મરણ પથારીયે, ઇયળોનો આંતકી હુમલો
અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)
સુઇગામ તાલુકાના દરેક ગામડાંઓમાં વાવાઝોડા,વરસાદ અને ઈયળોનો ઉપદ્રવ થતા ખેતીને ભારે નુકશાન પહોંચ્યુ છે. પંથકના ખેતરોમાં ઇયળોએ આંતકી હુમલો કરતા અંદાજીત 5000 હેકટર ઉપરાંત દિવેલાના પાક નષ્ટ થયો હોવાનું સામે આવતાં ખેડૂતો મુંઝવાયા છે. સ્થાનિક ખેડુતો માંગ કરી રહ્યા છે કે, કૃષિમંત્રી વાવ-સુઇગામ પંથકની મુલાકાત લઇ દિવેલાના નષ્ટ થયેલા પાક સામુ અલગથી પેકેજ જાહેર કરી વળતર આપે.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ-વાવ પંથકમાં બુલબુલ વાવાઝોડાની અસરને કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. આ દરમ્યાન જુવાર, બાજરી, મગ, મઠ સહિતના પાકોને ભારે નુકસાન થયું હતું . ખેડુતોએ દિવેલાનું વાવેતર મોટા પ્રમાણમાં ખેડૂતોએ કર્યું હતુ. ગત તા.13.11.2019ની સાંજે અચાનક ભારે પવન સાથે કરાનો વરસાદ આવતા દિવેલાનો પાક નિષ્ફળ ગયો છે. તો આ સાથે બે દિવસમાં એકદમ ઈયળોનો ઉપદ્રવ અને વારંવાર કમોસમી વરસાદ, કરા તેમજ વાવાઝોડાથી 5000 હેકટરથી પણ વધુ દિવેલા પાકને નષ્ટ થતાં ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, સ્થાનિક ખેડુતોને ભારે નુકશાન થયુ હોવાથી તેઓને મોઢે આવેલો કોળીયો છીનવાયો હોઇ તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ખેડુતોની માંગ છે કે, કૃષિમંત્રી સુઇગામ-વાવ પંથકની મુલાકાત લે અને સ્થળ નિરીક્ષણ કરી મુખ્યમંત્રીને રજૂઆત કરે કે, ખરેખર દિવેલાના પાકને મોટુ નુકશાન છે. આ સાથે રાજ્ય સરકાર અલગથી પેકેજ જાહેર કરી સહાય કરે તેવી માંગ ઉઠવા પામી છે.