ચર્ચા@ધાનેરા: પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ, ભાજપના નગરસેવકોની જ ગેરહાજરી
અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)
ભાજપની રાજ્ય સરકારે લોકોને ઘરઆંગણે સેવા પુરી પાડવા સેવાસેત કાર્યક્રમ શરુ કર્યો છે. જેના પાંચમાં તબક્કાના ભાગરૂપે ધાનેરા પાલિકામાં શુક્રવારે પાંચમા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જોકે ભાજપના જ ચુંટાયેલા નગરસેવકોએ ગેરહાજર રહેતા મામલો ગરમાયો છે. સત્તાધિન કોંગ્રેસની પાલિકા દ્રારા ગોઠવાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં રાજકીય ગણતરીના ભાગરૂપે એકપણ ભાજપી નગરસેવક હાજર રહ્યા ન હતા. જેને લઇ સમર્થન અને વિરોધમાં ટીપ્પણીઓ શરૂ થઇ છે.
બનાસકાંઠા જીલ્લાની ધાનેરા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસનું શાસન છે. ભાજપની રાજ્ય સરકારે સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરેલી છે. હવે નગરજનોને સ્થળ ઉપર જ સેવા પુરી પાડવા પાલિકાએ કાર્યક્રમ ગોઠવતા ભાજપના નગરસેવકો દૂર રહ્યા હતા. રાજકીય ઘર્ષણમાં નગરજનોની પણ ચિંતા કર્યા વિના તમામ ભાજપી નગરસેવકોએ ગેરહાજરી પુરાવી છે. જેને લઇ રાજકીય, સામાજીક અને વહીવટી વાતાવરણ ગરમાયુ છે. ઉલ્લેખનિય છે કે, ભાજપની સરકારે શરૂ કરેલો સેવાસેતુ કોંગ્રેસની ધાનેરા પાલિકામાં ભાજપના નગરસેવકો માટે મહત્વનો ન હોવાનો સૌથી મોટો સવાલ બન્યો છે.