ચકચાર@કડી: અદાવતમાં ઇસમોએ આધેડને તલવારના ઘા મારતાં મોત, હત્યાનો ગુનો દાખલ
અટલ સમાચાર ડોટ કોમ, કડી
કોરોનાકાળ વચ્ચે ગત દિવસોએ નજીવી બાબતે બે જૂથો વચ્ચે મારામારી બાદ ફરીયાદ નોંધાઇ હતી. આ તરફ હવે શનિવારે બપોરના સમયે ઇસમોએ ભેગા મળી એક આધેડને તલવારના ઘા ઝીંકી પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે. જે બાદમાં મૃતકના પુત્રએ બે ઇસમના નામજોગ અને અન્ય ટોળાં સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં હત્યાં, લૂંટ અને કાવતરૂં રચ્યાનો ઉલ્લેખ કરતાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ મૃતકના પરિવારજનોએ તેમની લાશ પોલીસ સ્ટેશનની બહાર મુકી વિરોધ નોંધાવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના કડીના નાનીકડી વિસ્તારમાં શુક્રવારે રાત્રીના સમયે બે સમાજ વચ્ચે માથાકૂટ થઇ હતી. પ્રાથમિક તપાસમાં તબેલામાંથી ગાયો અન્ય ખેતરોમાં જઇ ભેલાણ કરતી હોવાનું કહી મારામારી કરતાં ફરીયાદ નોંધાઇ હતી. જે બાદમાં મિહિર આચાર્ય નામના ઇસમે શનિવારે બપોરે વિનોદભાઈ અંબાલાલ પટેલ સીમમાં પાટાવાળા ખેતરમાં હતા ત્યારે ગાડીમાં તલવાર, ધારિયું, લોખંડની પાઈપ, સળિયા જેવા હથિયારો સાથે આવી પહોંચ્યો હતો. જેથી વિનોદભાઈ જીવ બચાવવા દોડવા જતાં નીચે પડી ગયા બાદ મિહિર આચાર્ય અને કોઇ પ્રદીપસિંહ સહિતના શખ્સોએ માથામાં તલવારના ઘા તેમજ શરીરે ધારિયું અને લોખંડની પાઈપ, સળીયાના ફટકા મારતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં હતા. જે બાદમાં ઇસમોએ વિનોદભાઈએ પહેરેલો સોનાનો દોરો રૂ.80 હજારનો તથા પર્સમાં રહેલ રૂ.5 હજારની લૂંટ કરી ભાગી ગયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઘટના બાદમાં ઇજાગ્રસ્ત વિનોદભાઇની બૂમો સાંભળી આસપાસના લોકોએ તેમને સારવાર અર્થે તાત્કાલિક કડી ખસેડ્યા હતા. જ્યાં તેમનો પુત્ર પણ આવી જતાં વિનોદભાઇએ સઘળી વાત કરી હતી. જોકે વિનોદભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડતાં રસ્તામાં જ તેમનું મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના પુત્રએ બે ઇસમના નામજોગ અને તેમની સાથેના અન્ય ટોળાં સામે કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તમામ સામે આઇપીસી 302, 395, 120B, 323, 325, 34 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.