ચુંટણીઃ ભાજપની જીત પછી પાટીલ બોલ્યા, ‘ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી’
અટલ સમાચાર, ડેસ્ક
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નવા મંત્રીમંડળ બાદ ભાજપ માટે એક ટેસ્ટ સમાન માનવામાં આવતી હતી. જેમાં ભાજપનો શાનદાર વિજય થયો છે. હાલ બીજેપી કમલમ ખાતે વિજયોત્સવ ઉજવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ પણ વિજયોત્સવમાં સામેલ થયા છે. કમલમમાં એક ઉત્સવની જેમ આ જીતની ઉજવણી થઇ રહી છે. અનેક કાર્યકર્તાઓ ઢોલનગારાના તાલે ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યુ કે, ‘કોરોનામાં લોકો માટે ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે તે સામે આવ્યું છે. ગાંધીનગરમાં પહેલા ભાજપ પાસે 17 સીટો હતી આજે 41 સીટો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસને બે સીટ મળી છે અને જે ખૂબ ગાજ્યા હતા પરંતુ વર્સ્યા નહીં તેમને એક સીટ મળી છે. પ્રજાએ તેમને રિજેક્ટ કર્યા છે.’ ‘ઐતિહાસિક કહી શકાય તેવું પરિણામ ગુજરાતના મતદારોએ આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી વિકાસના અનેક કામો કરશે. તેમણે ભાર આપીને તે પણ કહ્યું કે, ગુજરાતમાં ત્રીજી પાર્ટીની કોઇ જગ્યા નથી. ગુજરાતની જનતાને હું વંદન કરું છું, તેમણે આ ઐતિહાસિક જીત આપી છે.’
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
‘આ ત્રણ સીટ ઓછી કેમ આવી’
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઐતિહાસિક જીત અંગે જણાવ્યુ કે, ‘અમારા પાર્ટીનાં અધ્યક્ષ સી.આર. પાટીલ મને કહેતા હતા કે, આ ત્રણ સીટ ઓછી કેમ આવી. તેઓ તો અત્યારથી જ લાગી ગયા છે. બીજેપી ઇલેક્શનલક્ષી કામ કરતી પાર્ટી નથી. આખા દેશમાં ભાજપનું શાસન હશે તો પણ કાર્યકર્તાઓને ભાગે કામ નહીં આવે તેવું ક્યારેય નહીં બને. તેઓએ પ્રજાની વચ્ચે રહીને કામ કરવું જ પડશે. આપણા ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંના નાનામાં નાના માણસની ચિંતા કરે છે. હરહંમેશ પાર્ટીનો કોઇપણ મોટો હોદ્દેદાર હોય પરંતુ તે કાર્યકર્તા તરીકે કામ કરવા ટેવાયેલો છે.’