ખેડુતો@થરાદ: અઠવાડીયામાં બ્રાન્ચ કેનાલો રીપેર કરો, નહિં તો આંદોલન
અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)
થરાદ પંથકના ખેડુતો નર્મદા નિગમની કામગીરી સામે નારાજ બન્યા હોવાનું બહાર આવ્યુ છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ અઠવાડીયામાં બ્રાન્ચ કેનાલો રીપેર કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. આગામી દસ દિવસ બાદ રવિ સિઝન શરૂ થતી હોઇ જો બ્રાન્ચ કેનાલો રીપેર કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની પણ ચિમકી આપી છે. કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતના આક્ષેપ કરતા મામલો ગરમાયો છે.
બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાની બ્રાન્ચ કેનાલો રીપેર કરવા ખેડુતો ઉગ્ર બન્યા છે. કિસાન સંઘ દ્વારા થરાદ પ્રાંત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે, અઠવાડીયામાં કેનાલો રીપેર કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન થશે. લેખિત રજૂઆતમાં કિસાન સંઘે કેનાલ રીપેરીંગ બાબતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતો આક્ષેપ કરતા સિંચાઇ આલમમાં હડકંપ મચી ગયો છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક સમયથી માડકા-માલસણ બ્રાન્ચ કેનાલો જર્જરીત હોઇ ખેડુતો ચિંતિત બન્યા છે. નવરાત્રિ બાદ રવિ સિઝન શરુ થવાની હોઇ પાણીની જરૂરીયાત બાબતે ખેડુતો પુર્વ તૈયારી કરી રહ્યા છે. ખેડુતોની કૃષિ વિષયક ગતિવિધિ સામે નર્મદા કેનાલના સત્તાધિશો નિરસતા હોવાના આક્ષેપ થયા છે. ભા.કી.સં.ના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ હીરાજી ગોહિલે જણાવ્યુ હતુ કે, જો અઠવાડીયામાં માડકા-માલસણ બ્રાન્ચ કેનાલો રીપેર નહિ કરવામાં આવેતો હજારો ખેડુતો સાથે આંદોલન કરીશું. કેનાલો રીપેરીંગ કરવામાં ઢીલાશ હોઇ ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.