આગાહી@ગુજરાતઃ ‘મહા’ સંકટને કારણે 7 અને 8 તારીખે ભારેથી અતિભારે વરસાદ
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત પર સર્જાયેલું “મહા” વાવાઝોડાનું સંકટ હજી ટળ્યું નથી. આ વાવાઝોડું હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય છે. 6 નવેમ્બરે દીવ-દ્વારકાની વચ્ચે સિવીયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે ટકરાય તેવી સંભાવના છે. જેના કારણે દિવ દ્રારકાનાં દરિયા કિનારે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશેે. આ સાથે આજે એટલે 4 નવેમ્બરે તથા 7 અને 8 નવેમ્બર એટલે ગુરૂ અને શુક્રવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની આગાહી કરવામાં આવી છે.
આજે 4 નવેમ્બરનાં રોજ જામનગર, મોરબી તથા દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે 7 નવેમ્બરનાં રોજ અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દિવમાં આગાહી છે. જ્યારે 8 નવેમ્બરે પણ અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ પ્રમાણે હાલમાં સૌરાષ્ટ્રના વેરાવળના દરિયાકાંઠાથી આ વાવાઝોડું 570 કિલોમીટર જ્યારે દીવથી 150 કિલોમીટર દૂર છે. વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં ચારથી પાંચ મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં હવામાન વાદળછાયું બન્યું છે અને હળવો વરસાદ પણ વરસી રહ્યો છે.