ગાંધીનગર: ના.મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના નેતાઓને આપી ચેતવણી
અટલ સમાચાર, ગાંધીનગર
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાયું છે. ગુજરાતમાં કૉંગ્રેસની સ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદન બાદ ગુજરાતમાં બીજેપી-કૉંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા છે. ગુજરાતમાં કૉંગ્રેસમાં બધુ બરાબર ન હોવાના વિજય રૂપાણીના નિવેદનનો જવાબ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યો હતો. જેમાં અમિત ચાવડાએ સીએમ રૂપાણીની ખુરશી પર જોખમ હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં બીજેપીની હાલત વિશે વાત કરતા ચાવડાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ભાજપમાં હાલ ખરાબ હોવાનું જણાવ્યું હતું.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
કોંગ્રેસ નેતા ભરતસિંહે નીતિન પટેલે કૉંગ્રેસમાં જોડાવાની ઑફર કરી હતી. આ મામલે નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તડાફડી બોલાવી હતી અને કહ્યું હતું કે તેઓ ભાજપમાં જ છે અને રહેશે. સાથે જ તેમણે કૉંગ્રેસને નેતાઓને તેમનું નામ નહીં લેવાની ચેતવણી પણ આપી હતી. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, ભારતીય જનતા પક્ષ મારા લોહી, હૃદય અને મનમાં છે. કોઈ પણ પ્રકારની સત્તા લાલચ મારા જીવનને કે મારા રાજકીય જીવનને અડી શકી નથી. ભૂતકાળમાં આ પ્રયોગ થઈ ચુક્યો છે. શંકરસિંહે રાજપાની સ્થાપના કરીને અલગ સરકાર બનાવી હતી. એ સમયે હું કડીનું પ્રતિનિધિત્વ કરતો હતો. એ સમયે મને ઘણી ઑફરો થઈ હતી. એ સમયે પણ હું ભાજપ સાથે જ રહ્યો હતો. અત્યારે પણ કોઈ મુખ્યમંત્રી બનાવવાની લાલચ આપે તો પણ હું ભાજપ સાથે જ જોડાયેલો છું. મારા જીવનના સિક્કામાં એક બાજુ હું અને બીજી બાજુ ભાજપનું કમળ છે. ટૂંકી દ્રષ્ટિના ઘણા લોકો ઘણા સમયથી સત્તા માટે તલપાપડ બન્યા છે. કૉંગ્રેસ પક્ષ વેરણછેરણ થઈ ગયો છે.”
શું કહ્યુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ?
ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં નીતિન પટેલે જણાવ્યું કે, “મીડિયા મારફતે મને જાણકારી મળી છે કે ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે એવું નિવેદન કર્યું છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી 15 ધારાસભ્યો સાથે કૉંગ્રેસમાં આવે તો અમે તેમને મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર છીએ. હું ભરતસિંહ, અમિત ચાવડા તેમજ કૉંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરોને કહેવા માંગું છું હું જનસંઘના સમયથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. નગરપાલિકાના સભ્યથી લઈને નાયબ મુખ્યમંત્રી પદ સુધી ભારતીય જનતા પાર્ટીએ મને કામ કરવાની તક આપી છે.”