ગાંધીનગર: બે વર્ષથી ભરતી વિલંબીત રહેતા ટાટ-1-2ના ઉમેદવારો આંદોલનના મૂડમાં
અટલ સમાચાર, મહેસાણા
રાજ્યમાશિક્ષિત ઉમેદવારોની હાલત હદથી બદતર થઈ રહી છે. રાજ્યના અસંખ્ય શિક્ષિત ઉમેદવારો રોજગારી માટે વલખાં મારી રહ્યા છે. શિક્ષણ સાથે નાતો રાખનાર ટાટ-1, અને ટાટ-2 પાસ ઉમેદવારોની ભરતી નહીં કરતા આગામી 30 જુલાઈએ રાજ્યના તમામ ઉમેદવારો ગાંધીનગરમાં ગાંધીચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે.
ટાટ-1, અને ટાટ- 2 પાસ ઉમેદવારોની કેટલાય સમયથી ભરતી કરાઇ નથી. જેથી રાજ્યના અનેક ઉમેદવારો લાલઘૂમ બન્યા છે. છેલ્લે 2017માં ભરતી પ્રક્રિયા હાથ ધર્યાને બે વર્ષનો સમય વિતી ગયો છે. ત્યારે આજદિન સુધી ભરતી નહીં કરતા ઉમેદવારોની ઉંમર તથા પ્રમાણપત્રનુ આયુષ્ય પુરુ થઇ રહ્યું છે. પરિણામે અનેક શિક્ષિત ઉમેદવારોનુ ભાવિ અંધકારમય બની રહ્યું છે. પરીક્ષા પાસ કર્યા બાદ ભરતીની કાગડોળે રાહ જોઇ રહેલા ગુજરાતના લાખો ટાટ પાસ ઉમેદવારોને લાગી રહ્યું છે કે સરકારને ખાડે જઇ રહેલા શિક્ષણને બચાવવામાં કોઇ રસ નથી. રાજ્યનુ શિક્ષણ કથળી રહ્યું છે ત્યારે સરકાર ભરતી કરવાની જગ્યાએ દુર ભાગી રહી છે. આથી બે વર્ષથી નિંદ્રાધીન સરકારને જગાડવા રાજ્યભરના ઉમેદવારો 30મી જુલાઈએ પાટનગરમાં સરકાર સમક્ષ ઉપવાસ આંદોલન કરશે.
ઉત્તર ગુજરાતના ઉમેદવારો મોટી સંખ્યામાં જોડાશે
વારંવાર સરકાર સમક્ષ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકશાળાઓમા શિક્ષકોની ભરતી ઝડપથી કરવા માગણી કરવામા આવી છે. જેનો હજુસુધી નિર્ણય ન થતા 30 જુલાઇના રોજ ગુજરાતના ટાટ-1 ટાટ-2 પાસ કરેલ ઉમેદવારો ગાંધીનગરમાં ઉપવાસ આદોલનમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના 1200થી વધુ ઉમેદવારોએ પોતાનુ સમર્થન જાહેર કરી ઉપવાસમા જોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની મંજુરી પણ માગવામા આવી છે.
લેખીતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ મુકેલી મુખ્ય માંગો
1. ઝડપી અને ક્રમબધ્ધ ભરતી પ્રક્રિયા હાથ ધરાય.
2. જાન્યુઆરી 2018માં 6850 જગ્યા મંજૂર કરાઈ હતી. તો આજસુધી દોઢ વર્ષથી વધુ સમય થતા 15000થી વધુની ભરતી થાય તો વધુમા વધુ ટાટ પાસ ઉમેદવારો રોજગારી મેળવી શકે.
3. ટાટ1-2ના દરેક વિષયમા જગ્યા વધારવામા આવે તેમજ ભરતી જગ્યા અને તારીખ જાહેર કરાય.
4. છેલ્લે 2017ની ટાટની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવામા સમય વેડસાયો. તો સત્વરે વધુ જગ્યાની ભરતી કરી બે વર્ષનો સમય સરભર કરવામાં આવે.