ગુજરાતઃ નટ સમાજ દ્વારા દારૂના દૂષણને નાથવા માટે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં ગેરકાયદેસર દારુનું સેવન થતું હોવાના અનેક મામલાઓ અવારનવાર સામે આવે છે. નટ સમાજ દ્વારા દારૂના દૂષણને નાથવા માટે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે લોકો નશામાં ધૂત હોય તેમને આખી રાત પાંજરામાં પૂરવામાં આવે છે અને રૂ. 1,200નો દંડ વસૂલવામાં આવે છે. સાણંદથી લગભગ 7 કિમી દૂર મોતીપુરા ગામ આવેલું છે. મોતીપુરા ગામમાં દારૂની ખૂબ જ સમસ્યા હતી. આ સમસ્યાને દૂર કરવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે અને તે સફળ પણ થયો છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છના 23 ગામોએ આ પ્રયોગ અપનાવ્યો છે અને દંડની રકમ રૂ. 1,200થી વધારીને રૂ. 2,500 કરવામાં આવી છે. આ રકમનો ઉપયોગ સામાજિક અને ધાર્મિક આયોજનો માટે કરવામાં આવે છે.
મોતીપુરા ગામના સરપંચ અને નટ સમાજના નેતા બાબૂ નાયકે આ અનોખા સામાજિક પ્રયોગની શરૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, આ ઉપાય અસરકારક નિવડ્યો હોવાને કારણે 24 ગામોએ આ અનોખો પ્રયોગ અપનાવ્યો છે. મોટાભાગના ગામોમાં દારૂ પીવાના કારણે જોખમ વધી રહ્યું છે. અંદાજે 100-150 ‘લિકર વિધવા’ છે, જેઓ પોતાના પતિની દારૂ પીવાની આદતને કારણે વિધવા થઈ છે. અનેક મહિલાઓ સૂચના આપવાનું કાર્ય કરે છે, તેઓ ગામમાં નશામાં ધૂત પુરુષો વિશે સૂચના આપે છે. સૂચના આપનાર મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે તેમને રૂ. 501 અથવા રૂ. 1,100 ઈનામ તરીકે આપવામાં આવે છે.
આ અનોખા પ્રયોગના પરિણામસ્વરૂપે ગામમાં દારૂ પીને ધમાલ કરવામાં અને ઘરેલુ હિંસામાં 90 ટકા ઘટાડો થયો છે. સમાજના નેતાઓ દ્વારા આપવામાં આવતી બહિષ્કારની ચેતવણી અને પાંજરામાં પૂરવાનો પ્રયોગ અને અસરકારક સાબિત થયો છે. બાબૂ નાયકે વધુમાં જાણકારી આપતા જણાવ્યું કે, જો કોઈ નશામાં ધૂત પકડાઈ જાય તો તેમના પર કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે, પોલીસને હવાલે કરવામાં આવતો નથી. ગ્રામજનોને દારૂની ખરાબ આદત, દેવું અને કાયદાકીય પરેશાનીઓથી બચાવવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે. કચ્છના માંડવી તાલુકાના ગઢસીસા ગામના રાજન નટ જણાવે છે, કે પાંજરામાં પૂરવાનો પ્રયોગ એપ્રિલ 2021માં લાગુ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં અડધો ડઝન કેસ સામે આવ્યા છે અને તેની અસર જોવા મળી રહી છે. પુરુષો દારૂ પીવાનું ઓછું કરી રહ્યા છે. દારૂ પીવાનું ઓછું થઈ જવાને કારણે ઘરેલુ હિંસામાં ઘટાડો થયો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહિલાઓ સૂચના આપે તે બાદ ગામના વડીલો અચાનક તપાસ કરવા જાય છે. જો કોઈ વ્યક્તિની સૂંઘીને તપાસ કરવામાં આવે અને જો તેણે દારૂ પીધો હોય તો તેમને પણ પાંજરામાં પૂરવામાં આવે છે. પાંજરામાં તેમને માત્ર એક પાણીની બોટલ આપવામાં આવે છે. વિરમગામના મોટા ગામના જિગર નાયકે પણ આ અંગે કેટલીક બાબતો જણાવી છે. તેમણે જણાવ્યું કે, આખી રાત પાંજરામાં રહ્યા બાદ તેઓ શરમમાં પડી જાય છે. જો પોલીસમાં આ મામલો નોંધાય છે, તો પરિવારનું જીવન અને મૂડી કાયદાકીય ખર્ચ પર ખતમ થઈ જાય છે.