ગુજરાત: મહિલા બુટલેગરે પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી
અટલ સમાચાર, ડેસ્ક
સુરત શહેરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. આ વખતે આરોપી અન્ય કોઈ નહીં પરંતુ પોલીસ કર્મચારી છે. વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ હવે તેને તરછોડી દેતા પોલીસમાં ફરિયાદ કરવા પહોંચી હતી. પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા વિધવાએ કોર્ટમાં ફરિયાદ કરી છે. જેમાં સલાબતપુરાનાં પીઆઈ વિજય ચૌધરી આરોપી કોન્સ્ટેબલને બચાવી રહ્યાં હોવાના આક્ષેપ કરાયા છે. જેને પગલે આ ઘટના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુરતનાં સાલબતપુરા વિસ્તારમાં માનદરવાજા ખાતે રહેતી વિધવા પર સલાબતપુરા પોલીસ મથકનાં પોલીસ કોન્સ્ટેબલ દિપક ખોંડેએ બળાત્કાર ગુજાર્યો હોવા સંદર્ભની કોર્ટ ફરિયાદ થઈ છે. લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને બાદમાં તરછોડી દેવાઈ હતી. ફરિયાદમાં જે તે સમયના સલાબતપુરા પોલીસ મથકના પીઆઈ વિજય ચૌધરી ઉપર પણ આરોપ લગાવાયો છે. કારણકે આ ફરિયાદી બુટલેગર હોવાને કારણે પોલીસે માત્ર બુટલેગર હોવા સંદર્ભનો જવાબ લીધો હતો અને આરોપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન કોર્ટની ફરિયાદ બાદ સમગ્ર કેસમાં હાલ વિટનેસ ચકાસણી શરૂ થઈ છે. ત્યારબાદ આ ફરિયાદ સેશન્સમાં જશે. જોકે, સાલબતપુરા પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ પ્રમાણે, પોલીસ કર્મચારી વર્ષ 2016થી નવેમ્બર 2018 સુધી અવાર-નવાર લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધતા હતા. દરમિયાન કોન્સ્ટેબલના અન્ય એક મહિલા પોલીસ કર્મચારી સાથે પણ સંબંધ હોવાનું સામે આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. પીડિતા દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે, પોલીસે ફરિયાદ ન લેતા આખરે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ચર્ચા ચાલી રહી છે.