ગુજરાતઃ કોરોના વૉરિયર્સના પ્રોત્સાહન માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી કૉરોના વૉરિયર્સ એટલે કે કોરોનાના દર્દીઓ સાથે રહીને કામ કરતા મેડિકલ/પેરામેડિકલ સ્ટાફ અંગે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તેમને જો કોરોનાનો ચેપ લાગે તો તેમના માટે હૉસ્પિટલોમાં બેડ રિઝર્વ રાખવામાં આવશે. નોંધનીય છે કે કોરોના વાયરસ COVID-19ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડિસિઝ એક્ટ 1897 અન્વયે તાઃ 13-03-2020ના જાહેરનામાથી ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન- 2020 લાગુ કરવામાં આવ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, કોરોના વૉરિયર્સ તરીકે રાત-દિવસ ખંતથી કાર્ય કરતા તમામ સ્ટાફને પોતાની ફરજો બજાવવા પ્રોત્સાહન મળી રહે અને ઉત્સાહ જળવાઇ રહે તે માટે જે સરકારી હોસ્પિટલમાં 100 બેડ હોય ત્યાં 5 બેડ અને જ્યાં 100 કરતાં વધુ બેડ હોય ત્યાં 10 બેડ ડૉક્ટરો તથા હેલ્થકેર વર્કર (સરકારી / ખાનગી સહિત ) માટે રિઝર્વ રાખવાના રહેશે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે. કોવિડ હૉસ્પિટલોમાં સતત કોરોનાના દર્દી સાથે ફરજ બજાવતાં હોસ્પિટલના સ્ટાફને પણ કોવિડ-19ના સંક્રમણનું જોખમ રહેલું છે.
આ રિઝર્વ રખાયેલા બેડમાં જ્યારે પણ મેડિકલ/પેરામેડિકલ સ્ટાફ આવે ત્યારે અગ્રીમતાના ધોરણે બેડ ફાળવવાના/આપવાના રહેશે. જો તેઓ આવ્યા ન હોય અને બેડ ખાલી હોય તો સામાન્ય પ્રજાજન/દર્દીને બેડ ફાળવવાના રહેશે. આ બેડ રિઝર્વ રાખવા અંગે સબંધિત જિલ્લાના કલેક્ટરના પરામર્શમાં રહી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.