ગુજરાતઃ આજથી 5 દિવસ માટે વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે
અટલ સમાચાર, ડેસ્ક
આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર પાંચ દિવસ માટે મળશે. કોરોનાને કારણે આપણી લાઇફસ્ટાઇલમાં ઘણો ફેર આવ્યો છે તેવી જ રીતે વિધાનસભામાં પણ પહેલીવાર મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન કોઇ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સત્ર શરૂ થતા પહેલા મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ ટેસ્ટમાં કૉંગ્રેસનાં ચાર અને ભાજપનાં (BJP) બે ધારાસભ્યોના કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વિધાનસભામાં પણ કોરોના મહામારીના કારણે ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ રદ્દ કરાયો છે. વિધાનસભા સત્રમાં કુલ છ બેઠક યોજવામાં આવશે. મુખ્યત્વે ગુંડા નાબુદી ધારા એક્ટ, પાસા કાયદામાં સુધારા, ભૂ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ, મહેસૂલ રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારા સાથે 21 વિધયકો ગૃહમાં પસાર કરવામાં આવશે. સત્ર દરમિયાન દરરોજ 10 કલાક કામગીરી ચાલશે. કોંગ્રેસે કોરોના, બેરોજગારી, અતિવૃષ્ટિ, મોંઘવારી,મંદી સહિતના મુદ્દે સરકારને ઘેરશે. પહેલા દિવસે જ ધમાલ થશે તેવા સંકેત મળ્યા છે. વિધાનસભામાં હાલ સત્તાધારી ભાજપના 103 સભ્યો છે જ્યારે કોંગ્રેસના 65 સભ્યો છે.
વિધાનસભા સંકુલમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો માટે ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. એમાં મંત્રીમંડળના સભ્યો સહિત 80 ધારાસભ્યોના ટેસ્ટ કરાયા હતા. ટેસ્ટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નેગેટીવ આવ્યા હતા. એમાં સાણંદના કનુ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે ભાજપના સાણંદના ધારાસભ્ય કનુ પટેલ પોઝીટીવ અને કોંગ્રેસના 3 ધારાસભ્ય વ્યારાના પુના ગામિત, ધાનેરાના નાથા પટેલ અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ અગાઉ ભાજપના સૌરાષ્ટ્રના રાઘવજી પટેલ, ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી પોઝિટિવ આવી ચૂક્યા છે. કચ્છમાં ડો. નીમાબેન આચાર્ય પણ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. આ પહેલાં ભાજપ અને કોંગ્રેસના લગભગ બે ડઝનથી વધુ સભ્યો સંક્રમિત થઇ ચૂક્યા હતા.