હાહાકાર@પાલનપુર: તંબુમાં સુતેલાં શ્રમિકોને ડમ્પરે કચડતાં 2ના મોત, ફરાર ચાલક સામે FIR
અટલ સમાચાર ડોટ કોમ,પાલનપુર
પાલનપુરમાં આજે વહેલી સવારે ચાર વ્યક્તિઓને ડમ્પરે કચડ્યાં હોઇ પંથકમાં ચકચાર મચી ગઇ છે. જેમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત અને અન્ય એકનું સારવાર દરમ્યાન મોત થયુ હોવાની વિગતો સામે આવી છે. આજે વહેલી સવારે બેફામ બનેલાં ડમ્પરચાલકે છાપરામાં સુઇ રહેલાં ચાર શ્રમિકો પર ડમ્પર ચલાવી દીધુ હતુ. જે બાદમાં ગંભીર ઇજાઓને કારણે એકનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. આ તરફ અન્ય ત્રણ શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ અન્ય એકનું પણ મોત થયુ છે. ઘટનાને લઇ ઇજાગ્રસ્ત શ્રમિકે ફરાર ડમ્પરચાલક સામે ફરીયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આજે વહેલી સવારે ડમ્પરે ચાર શ્રમિકોની કચડ્યાં હતા. મૂળ દાંતા તાલુકાના મીરાવાસ(હડાદ)ના શ્રમિકો હાલ પાલનપુર સિલ્વર બેલ્સ સ્કુલની પાછળ આર.સી.સી.દિવાલના કામકાજમાં મજૂરી કરે છે. ગઇકાલે રાત્રે તેઓ કામપુર્ણ કર્યા પ્લાસ્ટીકના તંબુમાં સુઇ ગયા બાદ આજે વહેલી સવારે આશરે છ વાગ્યે એક ડમ્પર રેતી ખાલી કરવા આવ્યુ હતુ. જે બાદમાં ચાલકે ગફલતભરી રીતે રીવર્સ લેતાં સુતેલાં શ્રમિકો પર ડમ્પર ચડાવી દીધુ હતુ. જેમાં પ્રથમ સુતેલાં મગનભાઇ રતનભાઇ બેગડીયાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચાર શ્રમિકોને કચડ્યા બાદ ચાલક ડમ્પર મુકીને ફરાર થઇ ગયો હતો. જે બાદમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલાં રમણભાઇ, સુનીલભાઇ અને સવજીભાઇને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવીલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદમાં આજે બપોરના સમયે સારવાર દરમ્યાન રમણભાઇનું મોત થયુ હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને લઇ સવજીભાઇ બેગડીયાએ ફરાર ડમ્પર ચાલક સામે પશ્વિમ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પશ્વિમ પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 304A, 279, 337, 338 અને મોટર વાહન અધિનિયમ કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી હાલ PI કે.પી.ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
- મગનભાઇ રતનભાઇ બેગડીયા
- રમણભાઇ ભેરાભાઇ બેગડીયા
ઇજાગ્રસ્તોના નામ
- સવજીભાઇ લેબાભાઇ બેગડીયા
- સુનીલભાઇ રમેશભાઇ બેગડીયા