હાહાકાર@વિસનગર: લગ્નના 12માં દિવસે યુવા શિક્ષકનું અકસ્માતે મોત, પત્નિના માથે આભ ફાટ્યું
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)
પાંચોટમાં આજે સવારે તળાવમાં કાર ખાબકતાં ત્રણ શિક્ષકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં એક યુવા શિક્ષકના હજી 11 દિવસ અગાઉ જ લગ્ન થયાં હોવાની વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિજનો, સાસરીવાળા અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ છે. આજે સવારે મહેસાણાથી રાધનપુર તરફ ફરજ પર જતી વખતે કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કુતરૂ વચ્ચે આવી તેને બચાવવાના પ્રયાસ વચ્ચે કાર તળાવમાં ખાબકી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા તાલુકાના પાંચોટમાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ શિક્ષકોના મોતથી હડકંપ મચી ગયો છે. મૂળ કુકરવાડાના આનંદભાઇ પ્રવિણભાઇ શ્રીમાળી હાલ સુઇગામના સોનેથમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. હાલ તેઓ વિસનગર શહેરની શ્યામસુંદર સોસાયટીમાં રહે છે. હજી ગત તા.10/12/2020ના રોજ તેમના લગ્ન થયા હતા. આજે સવારે તેઓ નિત્યક્રમ મુજબ બાસણાના વિપુલભાઇ ચૌધરી અને મહેસાણાના સ્મિતાબેન સાથે શાળાએ જવા એક જ કારમાં સવાર થઇ નિકળ્યાં હતા.
આ દરમ્યાન મહેસાણા ડીમાર્ટ સર્કલથી આગળ પાંચોટ ગામે ત્રણેયને કાળ ભરખી ગયો છે. “ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું” તે કહેવત મુજબ આજે સવારે પાંચોટ બસ સ્ટેન્ડ પાસે કુતરૂ વચ્ચે આવતાં ચાલકે તેને બચાવવા કાબૂ ગુમાવ્યો હતો. આ તરફ કાર હાઇવે પરના તળાવમાં ગરકાવ થઇ ગઇ હતી. જેને લઇ ઊંડા પાણીમાં ડૂબી જવાથી ત્રણેયના મોત થતાં પરિવારજનો સહિત શિક્ષક આલમમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ છે. સૂત્રોએ જણાવ્યું હતુ કે, વિપુલભાઇ ચૌધરી રાધનપુરની મસાલી, સ્મિતાબેન સુઇગામના મોરવાડા અને આંનદભાઇ શ્રીમાળી સુઇગામની સોનેથ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતા.