હડકંપ@અરવલ્લી: મનરેગા કામમાં બેદરકારી સામે 4 TDOને નોટીસ, 2 દી’માં ખુલાસો કરો: DDO
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
અરવલ્લી જીલ્લામાં મનરેગા કામોમાં ચોંકાવનારી સ્થિતિ હોવાનું સામે આવ્યુ છે. પ્રગતિ રીપોર્ટમાં વર્ષોથી મંજૂર થયેલા કામો હજુ શરૂ જ ન થયા હોવાનું અને ક્યાંક માત્ર પાયા લેવલ પર હોવાનું ધ્યાને આવતાં કાર્યવાહી થઇ છે. 25 આંગણવાડી કેન્દ્રોના બાંધકામમાં બેદરકારી સામે આવતાં જીલ્લા વિકાસ અધિકારીએ કાયદાની જોગવાઇઓ હેઠળ કાર્યવાહી કરી છે. જીલ્લાના કુલ 4 TDOને નોટીસ ફટકારી બે દિવસમાં જવાબ રજૂ કરવા હુકમ થયો છે. જો જવાબ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવા DDOના પત્રમાં જણાવ્યુ છે.
અરવલ્લી જીલ્લામાં ICDSના કામો મનરેગા હેઠળ કરવા અગાઉ વહીવટી મંજુરી મળી હતી. આંગણવાડી ભવનના નિમાર્ણમાં TDO દ્રારા તદ્દન દુર્લક્ષતા રાખી હોવાનું DDO દ્રારા નોંધવામાં આવ્યુ હતુ.
જેમાં ગત 4 મહિનાથી અનેક આંગણવાડી કેન્દ્રો પાયા લેવલ ઉપર તો કેટલાંક આંગણવાડી કેન્દ્રો માટીની જગ્યાઓનું પણ સમાધાન થયુ નથી. આ સાથે કેટલીક આંગણવાડી કેન્દ્રોની વહીવટી મંજૂરીને અંતે જગ્યા પસંદગી છતાં કોઇ જ બાંધકામ નહીં થયાનું માસિક પ્રગતિ અહેવાલમાં સામે આવ્યુ હતુ. આથી જીલ્લા વિકાસ અધિકારીએ મનરેગાની જોગવાઇ હેઠળ કાર્યવાહી કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ધનસુરા, બાયડ, માલપુર અને ભિલોડા તાલુકા વિકાસ અધિકારીએ સદર કામમાં મોનિટરીંગ બરાબર કર્યુ નથી. કુલ 25 આંગણવાડી કેન્દ્રોના નિમાર્ણમાં અતિશય વિલંબ થયો હોઇ જીલ્લા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારી છે.
જેમાં શિક્ષાત્મક કાર્યવાહી કેમ ના કરવી તેને લઇ ખુલાસો પુછ્યો છે. આ સાથે જો 2 દિવસમાં ખુલાસો રજુ નહીં થાય તો મનરેગા એક્ટ 2005ની કલમ 15 મુજબ ફરજમાં ચુક થયાનું નોંધી કલમ 25 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવા તૈયારી બતાવી છે.
કયા તાલુકામાં કેટલા આંગણવાડી કેન્દ્રોના નિર્માણમાં બેદરકારી
ધનસુરા: 7
બાયડ: 5
માલપુર: 2
ભિલોડા: 11