અસર@અટલ: ખેડબ્રહ્મા તાલુકાની સરકારી માધ્યમિક શાળામાં આખરે શિક્ષકો આવ્યા
અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામ નજીક છેલ્લા ત્રણ વર્ષથી મંજુર થયેલી સરકારી માધ્યમિક શાળા હમણા સુધી મહેકમના અભાવનો સામનો કરતી હતી. સમગ્ર મામલે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરી પંથકના વિદ્યાર્થીઓ માટે જરૂરીયાત બતાવી હતી. જેથી શિક્ષણ વિભાગે બે શિક્ષકોને હંગામી ધોરણે નિમણુંક કરી મહેકમની સમસ્યા દૂર કરી છે. આનાથી ગામલોકોને શિક્ષણનું સ્તર સુધારવાની આશા બની છે.
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામ નજીક ચાંપલપુર માધ્યમિક શાળા આવેલી છે. શાળા મંજુર થયાને ત્રણ વર્ષ વિતી ગયા છતાં શિક્ષકોનો અભાવ હતો. એક જ શિક્ષકથી ચાલતી શાળામાં શરૂઆતથી પરિણામ નબળુ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી હતી. સમગ્ર મામલે ગામલોકો દ્વારા અવાર-નવાર રજૂઆતને પગલે અટલ સમાચાર ડોટ કોમના અહેવાલની અસર થઇ છે.
અત્યાર સુધી માધ્યમિક શાળામાં ધોરણ-9 થી 10 વચ્ચે એક આચાર્ય સહીત 4 શિક્ષકોનું મહેકમ હતુ. હવે રાજય સરકારે બે શિક્ષકોની નિમણુંક કરતા શાળામાં મહેકમના પ્રશ્ન બાબતે ગામલોકોને રાહત થઇ છે. શિક્ષકોની નિમણુંકને પગલે વિદ્યાર્થીઓની સંખ્યા વધવા અને શિક્ષણનું સ્તર સુધવારની આશા બની છે. તંત્ર દ્વારા ઉંચી ધનાલની એચ.કે.પટેલ હાઇસ્કુલના કનુભાઇ.ડી.પરમાર અને દેરોલની વી.સી.મહેતા હાઇસ્કુલના અશ્વિનભાઇ પટેલને ચાંપલપુર શાળામાં હંગામી ધોરણે ફરજ બજાવવા હુકમ થયો છે.