સુરતઃ પ્રસૂતિ બાદ પરિણીતાનું મોત, તબીબ સામે ગુનો નોંધાવવા પરિવાર ધરણા ઉપર
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના કપોદ્રામાં રહેતા 33 વર્ષનાં દયાબેન કેવડિયાને પ્રસૂતિની પીડા ઉપડતા મહિધરપુરાની ખાનગી હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. પરિવારનું કહેવું છે કે, તબીબોએ કહ્યું હતું કે દયાબેનની નોર્મલ ડિલીવરી થશે પરંતુ સાંજે ઓપરેશન થિયેચરમાં લઇ ગયા હતા. અને થોડી જ મિનિટોમાં બહાર આવીને કહ્યું હતું કે સિઝેરીયન ડિલીવરી કરવી પડશે. જે બાદ તેમનું ઓપરેશન કરવું પડ્યું હતું અને બાળકીનો જન્મ થયો હતો. જે બાદ મહિલાનાં શરીરમાંથી વધારે પ્રમાણમાં લોહી વહી ગયું હોવાથી તેમને અન્ય હૉસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ જઇને દયાબેનને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.
સુરતનાં મહિધરપુરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત નીપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે મહિલા તબીબની બેદરકારીને કારણે મોત નીપજ્યું છે. હાલ પરિવારે મૃતક મહિલાનાં મૃતદેહને સ્મીમેર હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આખો પરિવાર ધરણા પર બેસીને ન્યાયની માંગણી કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ અંગેનો ગુનો ડોક્ટર સામે નહીં નોંધાય ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીએ નહીં. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ડોક્ટર સામે ગુનો નોંધવાની માંગ
આ સમાચાર સાંભળતાની સાથે જ પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. પરિવારે આક્ષેપ કરતા કહ્યું કે, મહિલા ડોક્ટરની બેદરકારીને છૂપાવવા માટે દર્દીને અન્ય હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરિવાર હાલ સ્મીમેર હોસ્પિટલની બહાર ધરણાં પર બેઠો છે. પરિવારે માંગ કરી છે કે જ્યાં સુધી મહિલા તબીબ સામે ગુનો નહીં નોંધાય ત્યાં સુધી મૃતક મહિલાનો મૃતદેહ નહીં સ્વીકારીએ. હાલ સ્મીમેર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પરિવારજનો એકઠા થયા છે.