ઘટના@બેચરાજી: જેનું અપહરણ થયુ તે અચાનક પોલીસ મથકે, ચૂંટણી પૂર્વે ઘમાસાણ
અટલ સમાચાર, બેચરાજી
કોરોના મહામારી વચ્ચે આગામી 22 તારીખે બેચરાજી માર્કેટયાર્ડની ચૂંટણી યોજાનાર છે. આ તરફ મોઢેરા પોલીસે અપહરણની શંકામાં ગઇકાલે સાંજે 2 લોકોની અટકાયત કરી હતી. આ બંને લોકો વિઠ્ઠલભાઇ પટેલ ગ્રુપના હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. જોકે જે વ્યક્તિના અપહરણની ફરીયાદ મોઢેરા પોલીસ સ્ટેશને આવી હતી તે વ્યક્તિ ખુદ પોલીસ મથકે હાજર થતાં ઘટનામાં વળાંક આવ્યો હતો. જે બાદ વિઠ્ઠલભાઇ પટેલના સમર્થકોએ મોઢેરા પોલીસ મથકે પહોંચ્યા બાદ પોલીસે ઝડપેલા બંને લોકોને મુક્ત કર્યા હોવાનું સામે આવ્યુ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના બેચરાજીમાં ગંજબજારની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ નવો ઘટનાક્રમો સામે આવી રહ્યા છે. અગાઉ ગંજના વર્તમાન ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલના જુથના મતદારોના મતાધિકારને છીનવાયા બાદ વિઠ્ઠલભાઈ પટેલે હાઈકોર્ટમાં કેસ દાખલ કરી કોર્ટના જજમેન્ટ આધારે મતાધિકારનો હક્ક પાછો મેળવેલ હતો. આ તરફ ફરી એકવાર બેચરાજી ગંજની ચૂંટણી પહેલા નવી બાબત સામે આવી છે. કનોડા ગામની મંડળીના મતદાર ચિમનભાઇ પરમાર ગુમ થયાની ફરીયાદ અરજી મોઢેરા પોલીસ સ્ટેશને નોંધાઇ હતી. બાદમાં જે ઘટનાક્રમ બન્યો તે અત્યંત ચોંકાવનારો અને રાજકીય હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કનોડાના ચમનભાઇ પરમાર ગુમ થયાની ફરીયાદ તેમના પુત્રએ મોઢેરા પોલીસ સ્ટેશને આપતાં પોલીસે બે લોકોની અટકાયત કરી હતી. જે બાદમાં ખુદ ચમનભાઇ પરમાર આજે સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. જોકે વિઠ્ઠલભાઇના સમર્થકોએ આક્ષેપ કર્યો છે કે, રજનીભાઇ પટેલ ગ્રુપના સમર્થકો દ્રારા ચમનભાઇ પરમારના પુત્રને ધમકાવી ફરીયાદ અરજી કરાવી. આ સાથે એવી પણ વાત સામે આવી હતી કે, રજનીભાઇ પટેલ ગ્રુપના સભ્યો વિઠ્ઠલભાઇના ગ્રુપમાં આવવા માંગતા હોઇ ચિમનભાઇ સહીતના ગઇકાલના બેચરાજી હતા.
આ દરમ્યાન ચમનભાઇને તેમના જ અપહરણની ફરીયાદની જાણ થતાં તેઓ સવારે મોઢેરા પોલીસ મથકે હાજર થયા હતા. જે બાદ પોલીસે અપહરણની શંકાને લઇ ઝડપેલા બે વ્યક્તિઓને છોડી મુક્યા હતા. આ તમામ ઘટનાક્રમને જોતાં બેચરાજી ગંજબજારની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ઘટનાને લઇ રાજકારણ ગરમાયુ છે. આ તરફ વિઠ્ઠલભાઇના સમર્થકો પણ રજનીભાઇ ગ્રુપ ઉપર આ ઘટનાને લઇ આક્ષેપો કરી રહ્યા છે.