ઘટના@દાંતા: પથ્થરો ભરેલી ટ્રક પલ્ટી જતાં હાઇવે પર જતી કારનો ભૂક્કો
અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)
કોરોના મહામારી વચ્ચે દાંતા-અંબાજી હાઇવે પર આજે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ત્રિશુળીયા ઘાટમાં આજે બપોરના સમયે માર્બલના પથ્થો ભરેલી ટ્રક પલ્ટી મારી જતાં હાઇવે પર જતી કારનો ભુક્કો બોલાઇ ગયો હતો. જોકે સદનસીબે જાનહાનિ ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનિય છે કે, હાલ ત્રિશુળીયા ઘાટમાં વધતાં જતાં અકસ્માતની લઇ માર્ગ પહોળા કરવાની કામગીરી ચાલુ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના દાંતાથી અંબાજી જવાના માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે પથ્થરો ભરેલી ટ્રકની બ્રેક ફેઇલ થતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જેથી મોટી માત્રામાં પથ્થરો નીચે કાર આવી જતાં ભુક્કો બોલાઇ ગયો હતો. જોકે જાનહાનિ થઇ હોવાના કોઇ સમાચાર પ્રાપ્ત થયા હતા. અકસ્માતના ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ત્રિશુળીયા ઘાટમાં વધતાં અકસ્માતોને લઇ હાલ માર્ગ પહોળો કરવાની કામગીરી ચાલુ છે. અગાઉ આ ઘાટમાં સર્જાયેલા અકસ્માતમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે. આજે સ્વિફ્ટ કારને અકસ્માત નડતાં કાર આખી ભુક્કો થઇ ગઇ હતી. જેને લઇ થોડીક વાર માટે વાહન વ્યવહારને અસર થઇ હતી. નોંધનિય છે કે, ત્રિશુળીયા ઘાટમાં ઘણા સમય બાદ થયેલા અકસ્માતમાં કોઇ જાનહાનિ નહિ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.