ઘટના@મહેસાણા: ICUમાં લીધા પછી ખર્ચનો હોબાળો, પતિના મોતથી ડોક્ટરો સામે પત્નીની ફરિયાદ
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
મહેસાણાની દીપ ICU સામે ચોંકાવનારા આક્ષેપો સાથે મહિલાએ પોલીસમાં અરજી આપતાં ચકચાર મચી ગઇ છે. મહેસાણા પોલીસ સ્ટેશને આપેલ અરજી મુજબ ચાણસ્મા તાલુકાના એક આધેડ બિમાર હોઇ તેમને મહેસાણા સારવાર અર્થે લવાયા હતા. જે બાદમાં તેમને કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ દીપ આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર પેટે રૂ.4,50,000 ભર્યા બાદ બાકીના 16,000 ભરવાના હતા. જોકે મૃતક આધેડના ભાઇ પૈસાની સગવડ કરવામાં વિલંબ થતાં હોસ્પિટલે સારવાર બંધ કરી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. મહિલાના આક્ષેપો મુજબ હોસ્પિટલે વેન્ટિલેલર કાઢી નાંખતાં આધેડનું મોત થયુ હતુ. સમગ્ર મામલે મહિલાએ એ ડીવીઝન પોલીસ મથકે અરજી આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલ દીપ આઇસીયુ સામે મહિલાએ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના સુણસર ગામના ઝાલા વિક્રમસિંહને ગત તા.24 માર્ચ 2021ના દિવસે તાવ, શરદીની તકલીફ જણાતાં ગામમાં સારવાર કરાવી હતી. જોકે કોઇ ફરક નહીં પડતાં તેમને મહેસાણાની હોલીસ્ટીક આઇસીયુમાં લવાયા હતા. જ્યાં તેમનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ સારવાર શરૂ કરાઇ હતી. જોકે ત્યાં તેમની તબિયતમાં કોઇ સુધારો નહીં જણાતાં પરિવારજનોએ તેમને શહેરના રાધનપુર રોડ પર આવેલ દીપ આઇસીયુમાં ખસેડ્યા હતા.
સુણસરના ઝાલા પરિવારના મોભીને તા.29/03/2021થી તા.10/04/2021 સુધી અંદરના દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન હોસ્પિટલ તરફથી રોજના ડીપોઝીટ પેટે રૂ.35,000 લેવાતા હતા. જોકે આધેડની સારવાર પેટે પરિવારે તો 10/04/2021 સુધી રૂ.4,50,000 જેટલી રકમ જમા કરાવી હતી. જે બાદમાં તા.10/04/2021ના દિવસે હોસ્પિટલ દ્રારા પરિવારને બીજા રૂ.16,000 જમા કરાવવાનું કહેતાં તેમની પાસે ન હોઇ આધેડના ભાઇ પૈસાની વ્યવસ્થા કરવા ગયા હતા.
જોકે તેમને આવવામાં સમય થઇ જતાં હોસ્પિટલના ડોક્ટરે આધેડની સારવાર બંધ કરી દીધી હોવાના ચોંકાવનારા આક્ષેપો મૃતકના પત્નિએ કર્યા છે. આ સાથે પોલીસ મથકે આપેલ અરજીમાં હોસ્પિટલ દ્રારા વેન્ટિલેટર કાઢી નાંખતાં તેમના પતિનું મોત થયાનો ઉલ્લેખ કર્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણામાં સતત વધી રહેતાં કોરોના કહેરની વચ્ચે દિપ આઇસીયુ સામે આવા ગંભીર આક્ષેપોથી ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે મૃતકના પત્નિ ઝાલા ક્રિષ્ણાબેન વિક્રમસિંહે મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવા અરજી આપી છે. આ તરફ મહેસાણા એ ડીવીઝન PI બી.એમ.પટેલને પુછતાં જણાવ્યું હતુ કે, મહિલાએ ગઇકાલે આપેલ અરજી આધારે હજી તપાસ ચાલુ છે. જોકે હાલ તો હોસ્પિટલમાં સારવાર લઇ રહેતાં સુણસરના ઝાલા પરિવારના આધેડનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.