ઘટના@સાંતલપુર: નજીવી બાબતે કુટુંબીઓ પરિવાર પર ધારીયું લઇ તુટી પડ્યાં, 3 વિરૂધ્ધ FIR
અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર
સાંતલપુર તાલુકાના ગામે કુટુંબી ઇસમોએ ભેગા મળી પરિવાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી ઇસમની પત્નિ રીસામણે ગયેલ હોઇ તેને તેડી લાવવા પરિવારના મોભીને વાત કરતાં તેઓએ ના પાડી હતી. જેથી ઇસમો ઉશ્કેરાઇ જઇ ધારીયું, લોખંડની ટામી અને ધોકો જેવા જીવલેણ હથિયારો સાથ આવી પરિવાર પર તુટી પડ્યા હતા. જેમાં એક વ્યક્તિનો જમણાં હાથનો અંગુઠો કપાઇ ગયો તો અન્ય વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ ખેડૂતે ત્રણ ઇસમ સામે વારાહી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના બોરૂડા ગામે નજીવી બાબતે પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. ગામમાં રહેતાં નિલેશભાઇ રમેશભાઇ ચૌહાણ પોતાના પરિવાર સાથે હાજર હતા. આ દરમ્યાન તેમના કુટુંબી કમલેશભાઇ હરજીભાઇ ચૌહાણ, હરેશભાઇ હરજીભાઇ ચૌહાણ અને ચંપાબેન હરજીભાઇ ચૌહાણ હાથમાં લોખંડની ટામી, ધારીયું અને ધોકો લઇ આવી પહોંચ્યાં હતા. જ્યાં ઇસમોએ ફરીયાદીના દાદા ચોથાભાઇને કહેવા લાગેલ કે, તમે કમલેશની વહુ રીસામણે બેસેલ છે તો તેને તેડવા કેમ જતાં નથી ? જે બાદમાં ઉશ્કેરાઇ જઇ ફરીયાદીના દાદા સહિતના પર હથિયારોથી હુમલો કરતાં ફરીયાદીનો અંગુઠો કપાઇ ગયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, નજીવી બાબતે કુટુંબીઓએ પરિવાર પર ધારીયાં જેવા હથિયારથી હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. ગુરૂવારે રાત્રે ઇસમોએ ફરીયાદીના ઘરે આવી હુમલો કરતાં ફરીયાદીના જમણાં હાથનો અંગુઠો કપાઇ ગયો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. ઘટનાને લઇ નિલેશભાઇએ ત્રણ વ્યક્તિઓના નામજોગ વારાહી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. આ તરફ વારાહી પોલીસે ત્રણ સામે આઇપીસી 307, 326, 324, 323, 294(b), 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.